અમરેલી તાલુકાના ચિત્તલ ગામમાં માર્ગ સુવિધાઓના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવાણવાડીથી સ્ટેટ હાઇવે તરફ જતા રસ્તાને સુવિધાપથ બનાવવા રૂ. ૬૫ લાખ અને ચિત્તલ રેલ્વે સ્ટેશનથી સ્ટેટ હાઇવે તરફ જતા રસ્તાને સુવિધાપથ બનાવવા રૂ. ૧૦૫ લાખ ફાળવવામાં આવ્યા છે. આમ, કુલ રૂ. ૧૭૦ લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
અમરેલીના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના સતત પ્રયાસો અને અસરકારક રજૂઆતોના પરિણામે ચિત્તલ ગામને આ મોટી વિકાસભેટ મળી છે. વર્ષોથી ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવતી માંગને મંત્રીએ સાર્થક રીતે પૂર્ણ કરી છે.
આ બંને સુવિધાપથ તૈયાર થતાં ગામના આંતરિક વિસ્તારો અને સ્ટેટ હાઇવે વચ્ચેનું જોડાણ વધુ મજબૂત અને સુગમ બનશે. ખાસ કરીને રેલ્વે સ્ટેશન તરફ જતા મુસાફરો તેમજ ખેડૂતોને પરિવહનમાં નોંધપાત્ર રાહત મળશે. ચોમાસા દરમિયાન રસ્તાની ખરાબ સ્થિતિને કારણે પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ મળશે, સાથે જ સ્થાનિક વેપાર અને રોજગારને પણ નવી દિશા મળશે.
સુવિધાપથના નિર્માણથી સમય અને ઇંધણની બચત થશે તેમજ લોકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. ચિત્તલ ગામના વિકાસમાં આ મંજૂરીને મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
આ અવસર પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કરતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ આવા વિકાસકાર્યોને વેગ આપવામાં આવશે.

