ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે 18 વર્ષની લાંબી ચર્ચા બાદ મંગળવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સમજૂતી થઈ છે. 16મી ભારત–EU સમિટ દરમિયાન બંને પક્ષોના નેતાઓએ આ ઐતિહાસિક ડીલની સત્તાવાર જાહેરાત કરી હતી.
મળતી માહિતી અનુસાર, આ ટ્રેડ ડીલ 2027થી અમલમાં આવી શકે છે. સમજૂતી બાદ ભારતમાં યુરોપિયન લક્ઝરી કારો જેમ કે BMW અને મર્સિડીઝ પર લાગતો ટેરિફ 110%થી ઘટાડીને માત્ર 10% કરવામાં આવશે. આ સાથે યુરોપિયન દેશોથી આયાત થતા આલ્કોહોલ અને વાઇન પર લાગતો ઊંચો ટેક્સ પણ ઘટી શકે છે. હાલ 150% જેટલો ટેરિફ લાગુ છે, જે નવી ડીલ હેઠળ 20થી 30% સુધી ઘટાડવાની સંભાવના છે.
ભારત હાલ દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે યુરોપિયન યુનિયન બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાય છે. બંને સાથે મળીને વૈશ્વિક GDPનો લગભગ 25% અને દુનિયાના કુલ વેપારનો આશરે એક-તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે ઈન્ડિયા–EU બિઝનેસ ફોરમમાં બંને તરફના 100થી વધુ CEOએ ભાગ લીધો હતો. તેમણે ઉમેર્યું કે છેલ્લા દસ વર્ષોમાં ભારત અને EU વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે મજબૂત થયા છે.
મિસરીએ વધુમાં કહ્યું કે, ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત–EU વ્યૂહાત્મક ભાગીદારી માત્ર દ્વિપક્ષીય નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે, ખાસ કરીને ત્યારે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંતુલનમાં ઝડપી ફેરફાર થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે દુનિયાની બીજી અને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાને નાતે ભારત અને EU ઘણા મોટા વૈશ્વિક મુદ્દાઓ સાથે સીધી રીતે જોડાયેલા છે.

