મોરબી જિલ્લા કક્ષાની સૌથી મોટી કહેવાતી સુવિધાઓના અભાવને કારણે દર્દી નારાયણને સારવારને પીડા આપતી સિવિલમાં હવે નાના કર્મચારીઓનું આર્થિક શોષણ થતું હોવાની ગંભીર ફરિયાદ સમી આવી છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલના નર્સિંગ, સફાઈ, સિક્યુરિટી સહિતના કર્મચારીઓનું આર્થિક શોષણ કરાતું હોય એમ આ હોસ્પિટલના વહીવટી વિભાગમાં નાના કર્મચારીઓના પગાર કાપી લેવાતા, અમુક કર્મચારીઓના બે મહિનાથી પગાર ન થયા હોવાની રાવ ઉઠી છે.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાભણીયા, દેવેશભાઈ રાણેવડીયા, ગિરીશભાઈ કોટેચાએ મુખ્યમંત્રી, રાજ્યના આરોગ્ય મંત્રીને રજુઆત કરી હતી કે, સિવિલ હોસ્પિટલમાં જે નર્સીગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, સિક્યુરિટી ગાર્ડ, ડ્રાઇવર સહિતના સામાન્ય કર્મચારીઓ પોતાની ફરજ બજાવે છે.
આ સામાન્ય કર્મચારીઓની ફરજ સામે જે વેતન મળે છે તે યોગ્ય નથી, કર્મચારીઓ જે વેતન મળે છે તેમાંથી અમુક રકમ કાપી લેવામાં આવે છે. જેમાં હોસ્પિટલના વહીવટી વિભાગમાં નાના કર્મચારીઓના પગાર કાપી લેવાય છે તો કેટલાકને તો બે બે મહિનાથી પગાર મળતા નથી. ગંભીર બાબત એ છે કે ઘણા કર્મચારીઓની હાજરી પુરી હોવા છતાં રૂ. 1000, 500, 200, 700 પગાર કપાયા છે.
આ પ્રકારની ગેરરીતિ, ગોલમાલ તંત્રની છબીને બદનામ કરે છે અને સૌથી વધુ અસર એ લોકોની જીવનશૈલી પર પડે છે. જે રાત દિવસ દર્દીઓને સેવા આપે છે. આ કર્મચારીઓનો એક તો સામાન્ય પગાર હોય એમાં પણ અમુક રકમ કાપી લેવાતી હોય આજની મોંઘવારીમાં જીવન જીવવું મુશ્કેલ બની જાય છે.
તેથી આ રીતે માનવ સેવા કરતા કર્મચારીઓના હક્કના પૈસા રોકી રાખવા, કપાત કરવા એ ગુનાહિત કૃત્ય ગણાય તેથી મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી આ ગંભીર મામલે તટસ્થ તપાસ કરવા એક કમિટી રચી હોસ્પિટલના વહીવટી તંત્રના દરેક સ્તરે તપાસ હાથ ધરી જે પણ અધિકારી કે કર્મચારી દોષિત ઠરે એની સામે પગલાં લઈ સિવિલના કર્મચારીઓના જેટલા પગાર કપાયા હોય એનો હક્ક અપાય તેવી માંગણી કરવામાં આવી છે.

