સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક 342 અને 351માં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ અને નિંદનીય નોન-વેજ પાર્ટી યોજવા બદલ આચાર્ય પ્રભાકર એલિગેટિનને સસ્પેન્ડ કરાયા છે. અગાઉ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટિનને નોટિસ પાઠવી કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવ્યું હતું. આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ, સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે.
ગઇકાલે સરકારી સ્કૂલમાં 1987થી 1991ના વિદ્યાર્થીઓ માટે ગેટ-ટુ ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન ચિકન-મટન પીરસવામાં આવ્યું હતું. આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું. નોન-વેજ પીરસવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મોં ચૂંદડીથી ઢાંકીને નોન-વેજ પીરસવામાં આવ્યું હતું. શાળામાં યોજાયેલી નોન-વેજ પાર્ટીના વિવાદમાં સસ્પેન્ડેડ આચાર્ય પ્રભાકર એલિગેટિને લૂલો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યોનું ગેટ-ટુ-ગેધર આયોજિત કરાયું હતું. આચાર્યએ સ્વીકાર્યું હતું કે કાર્યક્રમમાં ચિકન પીરસાયું એ ભૂલ છે, પરંતુ સાથે જ સ્પષ્ટતા કરી હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ગોડાદરા વિસ્તારની સ્કૂલ નંબર 342માં ચિકન પાર્ટી મામલે જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વગર પૂર્વ વિદ્યાર્થીઓના ગેટ-ટુ-ગેધર પ્રોગ્રામના નામે આ કૃત્ય આચરવામાં આવ્યું છે, જે અયોગ્ય છે.
સ્કૂલમાં નોન-વેજ પીરસવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવતાં જ હોબાળો મચી ગયો હતો. તેલુગુ સમાજના ધોરણ-7ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા. સ્કૂલમાં હાજર વોચમેન સંતોષભાઈએ જણાવ્યું હતું કે શું કાર્યક્રમ હતો એની મને જાણ નથી, જોકે સવારે તમામ લોકો આવ્યા હતા અને કાર્યક્રમ થયો હતો. નોન-વેજ પણ ખાવામાં આવ્યું હતું. સ્કૂલના કોઈ વિદ્યાર્થીઓ નહોતા, પણ આ બધા કોઈ કાર્યક્રમ માટે ભેગા થયા હતા. વધુ મને આ બાબતે કોઈ માહિતી નથી.

