વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને રોજગાર વિનિમય કચેરી દ્વારા પંચમુખી હનુમાનજી ખાતે આયોજિત જિલ્લા કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. જે કાર્યક્રમ અન્વયે 680 જેટલા યુવાઓને ‘રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત’ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં – 24 વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના અન્વયે આયોજિત વિકાસ સપ્તાહ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન સરકારની અસરકારક ઔદ્યોગિક નીતિના કારણે આજે ગુજરાત રાજ્ય વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ થકી અનેક રોજગારીનું સર્જન થયું છે અને ગુજરાતમાં રોજગાર માટે સાનુકૂળ વાતાવરણનું સર્જન થયું છે. રોજગાર કચેરી ખાતે કાર્યરત રોજગાર અને માહિતી કેન્દ્ર અનેક લોકોને રોજગાર તેમજ કારકિર્દીલક્ષી માહિતીની સાથે રોજગારી પૂરી પાડવા માટેનું મહત્વનું પગલું સાબિત થયું છે. વધુમાં તેમણે સરકારના અનુબંધમ પોર્ટલ વિશે પણ માહિતી આપી હતી.
મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આપણા યુવાનો વધુ ને વધુ IAS અને IPS બને તે માટે મહેનત કરે તે ખૂબ જરૂરી છે. વધુમાં તેમણે યુવાનોને લક્ષ નિર્ધારિત કરી આગળ વધવા તથા તેમના કામમાં સતત સ્વમૂલ્યાંકન કરી વિકાસના માર્ગે આગળ પ્રયાણ કરવા તમામ પ્રયત્નો કરવા જણાવ્યું હતું.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં ગુજરાત સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત મોરબી રોજગાર અને વિનિમય કચેરી દ્વારા રોજ પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમા સંકુલ સામે, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘રોજગાર પત્ર તથા આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર (POL) એનાયત’ અને ‘ઉદ્યોગો સાથે આઈટીઆઈના અપગ્રેડેશન માટે MOU’ માટેના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.