ખેડૂતો ગામના સર્વેયર મારફત અથવા Digital Crop Survey-Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા.22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી જિલ્લાના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે. તારીખ 18 સપ્ટેમ્બર સુધીમાં જ જિલ્લામાં 26,424 થી વધુ ખેડૂતોએ મગફળી માટે, 196 થી વધુ ખેડૂતોએ સોયાબીન માટે, 48 ખેડૂતોએ અડદ માટે ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરીફીકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા 4568 ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી. આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને SMS ના માધ્યમથી જાણ કરવામાં આવી છે, પરંતુ આ મેસેજથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી.
નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યુ હોય, તેમ છતાં પણ આવો SMS મળ્યો હોય, તેવા ખેડૂત મિત્રોએ કોઇપણ ચિંતા કર્યા વગર વહેલામાં વહેલી તકે ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવાનું રહેશે.
આ ઉપરાંત ખેડૂત મિત્રો ગામના સર્વેયરનો સંપર્ક કરીને નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે પણ કરાવી શકશે. ખેડૂતો પાસે પોતાના ફોનના પ્લે સ્ટોરમાંથી Digital Crop Survey-Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ ડિજિટલ ક્રોપ સર્વે કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ખેડૂતો ફોનના માધ્યમથી જાતે જ ડિજિટલ ક્રોપ સર્વે કરી શકે, તે માટે બાઈસેગની વંદે ગુજરાત ચેનલ મારફત કૃષિ વિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવેલ છે, જેનો મહત્તમ ખેડૂતોને લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેનો એક જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇને પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવો. આવા ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે જથ્થાની ખરીદી કરવામાં આવશે તેવું જિલ્લા ખેતવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

