પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોજીંદા જીવનમાં વપરાતી વસ્તુઓ મળી કુલ 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 10 હજાર નંગ તાડપત્રી, 10 હજાર મચ્છરદાની, 10 હજાર બેડશીટ અને 70 ટન જેટલી દવાઓ સાથેની આ વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી રૂ. પાંચ-પાંચ કરોડની મદદ સહાયના ચેક તે રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અગાઉ મોકલી આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહત સામગ્રી સાથેની જે ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવી છે. તેમાં ઘઉંથી માંડીને કપડા સુધીની વિવિધ ચીજ વસ્તુઓનો સમાવેશ 22 વેગન સાથેની આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂરિયાતની અંદાજે 8 હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે.
મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લાના વરસાદ આપત્તિગ્રસ્ત વિસ્તારોની પણ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રીઓ સાથે મુલાકાત લઈને જિલ્લા તંત્રની કામગીરી અને જરૂરી માર્ગદર્શન પણ આપવાના છે.

