ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહર નગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના બપોરે લગભગ 2:30 વાગ્યે બની હતી. ગોડાઉનથી માત્ર 25-30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેરી લેતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
આગની જાણ થતાં જ આસપાસનાં ગામોનાં પાણીનાં ટેન્કર્સ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આગના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ અંગે પડાણા ગામના પૂર્વ સરપંચ અને જિલ્લા પંચાયત સભ્ય ધનજીભાઈ હૂંબલે જણાવ્યું કે, સંભવિત ગરમીના કારણે લાકડા વચ્ચેના ભૂંસામાં આગ ભભૂકી છે, જેણે હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. છ માર્ગીય નેશનલ હાઇવે બંને તરફથી પોલીસ અને એન.એચ.આઈ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આગથી સાવ નજીક પેટ્રોલ પંપ હોવાથી તેને બંધ કરી દેવાયો છે અને પેટ્રોલ પંપના સ્ટાફને સલામત સ્થળે તંત્રની સૂચના હેઠળ ખસેડી લેવામાં આવ્યો છે. કંડલા, ગાંધીધામ અને ભચાઉના કુલ 6 ફાયરની ટીમો સાથે 15થી 16 જેટલા પાણીનાં ટેન્કર જીવના જોખમે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.