ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ગિરનાર તળેટી ખાતે 4 દિવસના મહાશિવરાત્રિ મેળાનો આજથી પ્રારંભ થયો છે. આજે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આગામી 4 દિવસ ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ, સાધુ-સંતો અને લાખો ભાવિકો ઊમટી મહાદેવના મેળાની મોજ માણશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓ ધૂણી ધખાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે.
મહાશિવરાત્રિ મેળાની શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગિરિ મહારાજ, જગતગુરુ મહેન્દ્રાનંદગિરિ મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી મહારાજ, બુદ્ધગિરિ મહારાજ તેમજ જૂનાગઢ કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ પટાંગણમાં પૂજા વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભવનાથના સાધુ-સંતોની હાજરીમાં વિધિવત્ રીતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢ મનપાના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાંગણમાં હાજર રહી પાવનકારી ધજા, પૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

મહાશિવરાત્રીના મેળામાં રોજના લાખો ભાવિકોને આપાગીગાના ઓટલે દાળ, ભાત, શાક, રોટલી, ફરસાણ, મિષ્ઠાન, શ્રીખંડ પાવભાજી અને અલગ-અલગ ભોજન પ્રસાદી પીરસવામાં આવે છે. રોજના લાખો યાત્રાળુ આપાગીગાના ઓટલે ભોજન પ્રસાદી લે છે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ કહે છે કે સૌથી મોટું દાન એ અન્નદાન છે.

