મોરબીના ટંકારા નજીક આવેલી કમ્ફર્ટ રિસોર્ટમાં આશરે ત્રણ મહિના પહેલા જુગારનો અડ્ડો પકડાવાના કેસમાં રૂ.41 લાખનો તોડ કરવાના મામલામાં સસ્પેન્ડ થયેલા અને ભાગેડુ પીઆઈ યુવરાજસિંહ ગોહિલે તેની સામે થયેલી ફરિયાદ મુદે હાઈકોર્ટમાં પહોચ્યા હતા.જેમાં તેમની સામે થયેલી ફરિયાદ રદ કરવા માટેની ક્વોશિંગ પિટિશન હાઈકોર્ટ જસ્ટિસ સંદીપ ભટ્ટે ફગાવી દીધી હતી અને ભાગેડુ પીઆઇને કોઇ રાહત આપવાની ન પાડી દીધી હતી.
હાઈપ્રોફાઈલ જુગારધામના કેસમાં પોલીસે રૂ.41 લાખનો તોડ કર્યો હોવાના ગંભીર આક્ષેપોને ધ્યાને રાખી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને આ કેસની તપાસ સોંપી હતી. જુગારધામ પકડાયા બાદ પીઆઇ યુવરાજસિંહ ગોહિલે લાંચની રકમ પેટે રૂ.41 લાખનો તોડ કર્યો હતો અને સમગ્ર પ્રકરણમાં એક આરોપીનું નામ બદલી કાઢ્યું હતું અને તેના બદલે બીજા આરોપીનું નામ લખી નાખ્યું હતું. આ મામલો સ્થાનિક કક્ષાએ ભારે ચકચાર મચાવી હતી. જેના કારણે પીઆઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં તેઓ ભૂર્ગભમાં ઉતરી ગયા છે અને ભાગેડૂ પીઆઇગોહિલે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે ક્વોશિંગપિટીશન દાખલ કરી હતી.

