મોરબી: ખેડૂતોને ડામવાના બદલે પગભર બનાવવા સરકાર મનઘડત નિર્ણયો પર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવ વધારો પરત લે તેવી માંગ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, તાજેતરમાં સરકાર તરફથી ખાતરના ભાવમાં એક બેગ પર રૂ.250નો વધારો કરી ખેડૂતોને ડામવાના પ્રયત્નો કર્યા છે. જેના કારણે ખેડૂતોના મનોબળને ઠેસ પહોંચી છે ભારત કૃષિ પ્રધાન દેશ છે. મોટાભાગના લોકો ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. ત્યારે આવા મનઘડત ભાવવધારા ખેડૂતોને નુકશાનકારક છે. દેશમાં મોટા ઉદ્યોગપતિઓને સરકાર તરફથી માતબર લોન આપી દેશ બહાર મોકલી મોજશોખ કરાવવાને બદલે જો દેશના ખેડૂતોને કૃષિ સંશાધનો પુરા પાડી યોગ્ય ભાવ અને સહાય આપવામાં આવે તો ખેડૂતો પગભર બની જાય અને આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે પરંતુ, આવા ખાતર સહિતના ખેતીને લગતી ચીજવસ્તુઓમાં ભાવવધારો અને પોષણક્ષમ ભાવના મળવાથી ખેડૂતો ગામડા છોડી શહેર તરફ આકર્ષાઈ રહ્યા છે.
વધુમાં મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની જમીનોનું ધોવાણ થઇ જતા 100 ટકા પાક નિષ્ફળ ગયો છે. તેવી સ્થિતિમાં ખાતરમાં ભાવવધારો કરી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આમ સરકાર ખેડૂતોને ડામવાના બદલે ખેડૂતોને પગભર કરવા માટે મનઘડત નિર્ણયો પર અંકુશ લાવી ખાતરમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવા કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે.

