ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

