હજારોના ટ્રાફિક ધરાવતા નહેરુ ગેઇટ દબાણોથી અતિશય સાંકડો બન્યો
વેપારીઓએ અને રીક્ષા ચાલકોને એકબીજા ઉપર દબાણો, અને ધમકી આપતા હોવાના આરોપમોરબી શહેરનું હૃદય અને અનેકવિધ મુખ્ય બજારોના કેન્દ્ર સમાન રાજાશાહી વખતના નહેરુ ગેઇટ ચોક ઘણા વર્ષો પહેલા એકદમ ખુલ્લો અને મોટો વિશાળ હતો. આ નહેરુ ગેઇટ ચોકમાં સરળતાથી અવરજવર કરી શકાતી હોય પણ બે દાયકાથી રીક્ષા ચાલકો, સામાન્ય ધંધાર્થીઓની વિવિધ ચીજવસ્તુઓના પાથરણાઓ, રેકડીઓ, કેબીનો ઉપરાંત આસપાસના વેપારીઓ પણ થોડા ઘણો સામાન પણ પોતાની દુકાન બહાર રાખતા ટ્રાફિકનું કલ્યાણ થઈ ગયું, કારણ કે આવડો મોટો વિશાળ અને કદાચિત રાજાશાહી વખતમાં દરબાર ભરાતો હોય અને મલ્લ તેમજ હાથી-ઘોડાના હેરતઅંગેજ પ્રયોગો થતા હોવાથી હજારો લોકો સમાય શકે તેવી આ વિશાળ જગ્યા બનાવી હતી. પણ કાળક્રમે એટલે છેલ્લા બે ત્રણ દાયકાથી મોટું વાહન તો ઠીક એક નાનું સ્કૂટર કે બાઇક પણ ન નીકળી શકે તે હદે આ બજાર વિસ્તારમાં દબાણો ખડકાય ગયા છે. જો કે આ શહેરનું નાક હોવાથી મોટી ટ્રાફિક બ્રિગેડ હોય છતાં દબાણોને ઉની આંચ આવતી નથી. ત્યારે હવે પોલીસ કે તંત્ર વચ્ચે નહિ પણ સ્થાનિક વેપારીઓ કે જેમની નહેરુ ગેઇટ, પરા બજાર, નાસ્તા ગલી, શાક માર્કેટ સહિતની આસપાસ અનેકવિધ દુકાનોના વેપારીઓને દબાણ મુદ્દે રીક્ષા ચાલકો સાથે ઘર્ષણ થયું છે અને આ મામલો આખો એસપી સમક્ષ પહોંચ્યો છે. ત્યારે ખરેખર એસપી સહિત કલેકટર આ સામાન્ય લોકોની રોજી ન છીનવાઈ તેવી વ્યવસ્થા તેમજ રીક્ષા ચાલકો અને વેપારીઓને પડતી હેરાનગતિ દૂર કરી શકશે ખરા ?”
નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળ નહેરુ ગેઇટની શુ છે રજુઆત ? મોરબીના નહેરૂગેટ પાસે નાસ્તા ગલીમાં આવેલ દુકાનદારોએ લારી-ગલ્લા અને રીક્ષાવાળાના ત્રાસ મામલે કલેકટર અને એસપીને રજુઆત કરી આ પ્રશ્નનો કાયમી માટે નિવેડો લાવવાની માંગ ઉઠાવી છે. અહીં સ્થિત મોબાઈલ અને રેડીમેઇડની દુકાન ધરાવતા વેપારીઓએ રજુઆતમાં જણાવ્યું છે કે તેઓની દુકાન આડે રિક્ષાવાળાઓ રીક્ષા પાર્ક કરે છે. તેઓ ગાળા ગાળી કરતા હોય, ઝઘડતા હોય મહિલા ગ્રાહકો દુકાનમાં આવતી નથી. ઉપરાંત તેઓ અને લારી ગલ્લાવાળાઓ દુકાન આડે રીક્ષા અને લારી રાખતા હોવાથી ટ્રાફિક સર્જાય છે. ગ્રાહકોના વાહન રહી શકતા નથી. જેથી આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
મોરબીના સીએનજી રીક્ષા ચાલક એસોસિએશનની પણ શું છે રજુઆત ? મોરબી શહેરમાં નગરદરવાજા પાસે આવેલ તરગારા રીક્ષા સ્ટેન્ડ અને નગરપાલિકા નજીક આવેલ મંજુર રીક્ષા સ્ટેન્ડના વેપારીઓએ દબાણ કરી ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે ઉક્તિ મુજબ રીક્ષા ચાલકોને ધમકાવવાનું શરૂ કરી રીક્ષા સ્ટેન્ડ હટાવવા ધમકી આપતા રીક્ષા ચાલકોએ મોરબીના સીએનજી રીક્ષા ચાલક એસોસિએશનએ ચીફ ઓફિસર અને પોલીસને રજુઆત કરી હતી કે, નગરદરવાજા પાસે આવેલ તરગારા રીક્ષા સ્ટેન્ડ અને નગરપાલિકા નજીક આવેલ મંજુર રીક્ષા સ્ટેન્ડના વેપારીઓએ દબાણ કરી ઓટલા બનાવી લઈ રીક્ષા ચાલકોને રિક્ષા ઉભી રાખવા ન દઈ ઉલટું રીક્ષા સ્ટેન્ડ હટાવી દેવા ધમકી આપતા સીએનજી રીક્ષા ચાલકો દ્વારા ચીફ ઓફિસર અને પોલીસને રજુઆત કરી વેપારીઓના નડતર રૂપ દબાણ હટાવવા માટે માંગ ઉઠાવી હતી.

