HomeGujaratકર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોમા અવાજ આપી કચ્છના ગાયિકા દિવાળીબેન દેશભરમાં...

કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોમા અવાજ આપી કચ્છના ગાયિકા દિવાળીબેન દેશભરમાં જાણીતા બન્યા


ગુજરાત રાજ્ય દ્વારા તા.26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને બેનમૂન ટેબ્લોનું નવી દિલ્હીના ”કર્તવ્ય પથ ” પરથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે “”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”ના વિષય આધારિત રજુ થયેલો ગુજરાતનો ટેબ્લો તેની સંખ્યાબંધ વિશેષતાઓના લીધે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો UNTWOના ‘બેસ્ટ વિલેજ”ની યાદીમાં સામેલ થયેલું ધોરડો અને તેની કચ્છી કલા-સંસ્કૃતિ, સરહદી પ્રવાસન, રણોત્સવ, આર્થિક નિર્ભરતા, UNESCOમાં ICHનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂકેલા” ગરબા” તેમેજ આ ગરબા સાથે હલકદાર અને મીઠા અવાજે રજુ થયેલા પરંપરાગત કચ્છી ગીત “રાણો ચીંધો રાજ મેં ભેંનું” સહિતના આકર્ષણોએ આ ટેબ્લો સંદર્ભે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
ગરબા સાથે હલકદાર અવાજમાં રજુ થયેલા 50 સેકંડના કચ્છી ગીતને કંઠ આપવામાં અને તેને સ્વરબધ્ધ કરવામાં કચ્છના જ જાણીતા લોકગાયિકા દિવાળીબેન ડાંગરનું અનેરું યોગદાન રહ્યું છે. દિવાળીબેન ડાંગર મૂળે ભુજ જિલ્લાના નાડાપા ગામના રહેવાસી છે અને સ્થાનિક કલાકારોમાં દિવાળીબેન આહિરના નામે પ્રચલિત છે.
આજથી 20 વર્ષ પૂર્વ સંગીતયાત્રાનો પ્રારંભ કરનારા દિવાળીબેનને સંગીત ગળથૂંથીમાં પ્રાપ્ત થયું છે. તેમણે પ્રારંભિક તાલીમ તેમના મોટા બાપુજી ગોપાલ બાપુ પાસેથી મેળવી. ભજનિક અને આધ્યાત્મિક પ્રકૃતિના ગોપાલ બાપુ સાથે દિવાળીબેન નાનપણમાં ગાયન માટે જતા. ત્યારબાદ, જીવીબેન કાપડી પાસેથી લોકસંગીતની તાલીમ અને પ્રેરણા લીધી.
દિવાળીબેન કહે છે કે, ‘કંઠ્ય સંગીત માટે મેં કોઈ ખાસ તાલીમ લીધી નથી. મને પ્રાપ્ત થયેલો અવાજ ઈશ્વર દત્ત પ્રેરણા છે. હાર્મોનિયમ શીખી અને વર્ષ-2005માં ગ્રામીણ સ્તરે નાના-મોટા કાર્યક્રમોથી સંગીત સફરનો પ્રારંભ થયો. આ દરમિયાન વર્ષ-2007માં આવેલા પહેલા કચ્છી મ્યુઝિક આલ્બમ ‘માડી તુજી માની’ ને લોકોએ ખોબલે’ને ખોબલે વધાવ્યું. શિવ સ્ટુડિયો, રાજકોટના નેજા હેઠળ તૈયાર થયેલું આ આલ્બમ ખુબ જ લોકપ્રિય નીવડ્યું”
વર્ષ-2007 પછી દિવાળીબેનના આશરે બે થી ત્રણ સંગીત આલ્બમ વાર્ષિક ધોરણે નિયમિત રીતે બહાર પડતા રહયા છે. અત્યાર સુધીમાં કચ્છી અને ગુજરાતી ભાષામાં દિવાળીબેનના આશરે 60થી વધુ મ્યુઝિક આલ્બમ બહાર પડી ચુક્યા છે. જેમાં ઘણુંખરું ધાર્મિક, રાસ-ગરબા, ડાયરા, કૃષ્ણ સંગીત, માં આશાપુરાને સ્પર્શતા આલ્બમનો સમાવેશ થાય છે.
માં આશાપુરામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા દિવાળીબેન પ્રજાસત્તાક દિનની પરેડમાં તેમના કંઠે ગવાયેલા ગીતની પસંદગીથી અત્યંત ઉત્સુક છે. તેમના મતે, ‘રાષ્ટ્રીય પર્વમાં આ તક પ્રાપ્ત થવી એ માટે હું માં આશાપુરા, મારા માતા-પિતા પુનઈબેન અને વાલાભાઇ ડાંગર અને સમગ્ર પરિવારની સદૈવ ઋણી રહીશ. રાજ્ય સરકારે આ કામ માટે મને ઉચિત ઠેરવી તે બાબત મારા માટે હંમેશા ગૌરવપ્રદ રહેશે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીબેનને જિલ્લા સ્તરેથી સંખ્યાબંધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW