પાણીના નિકાલ માટે રસ્તાની પહોળાઈ 59 ફુટ ખુલ્લો કરવાની વેગડવાવ, નવા વેગડવાવ અને ઘણાદ પંચાયતને અલ્ટીમેટમ
હળવદ તાલુકાના વેગડવાવ, ઘણાદ અને રણમલપુરને જોડતા ડામર રોડનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જે રોડ 17 કિલોમીટર લાંબો છે. જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 3.75 મીટરનો હતો તેમાંથી 5.50 મીટર પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. જેથી કરીને હાલમાં સેન્ટરથી બન્ને બાજુ 9 મીટરની જગ્યા રસ્તાના માલિકીની છે. એટલે કે ટોટલ 18 મીટર જગ્યા રસ્તા માટે ઉપયોગમાં લેવાની છે. ત્યારે વેગડવાવ, નવા વેગડવાવ, ઘણાદ અને રણમલપુર ગામતળેથી પસાર થતા રસ્તાની હદમાં બન્ને બાજુ પાણીના નીકાલ માટે ગટર બનાવવી ખુબ જરૂરી છે. અને પાણીના નીકાલ માટે રસ્તાની પહોળાઈ સહિત આશરે 59 ફુટ જેટલો રસ્તો ખુલ્લો કરવો જરૂરી બન્યો છે. જેથી કરીને પથરેખામાં દબાણ કરેલા ખાતેદારોને દબાણ દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી અને રેવન્યૂ તલાટી મંત્રીઓમાં નવા વેગડવાવ, જૂના વેગડવાવ, ઘણાદ અને રણમલપુર, મોરબી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી મોરબી, પ્રાંત અધિકારી હળવદ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન પંચાયત વિભાગને હળવદ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
દબાણદૂર કરવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની: મામલતદાર
હળવદ મામલતદાર ચિંતનભાઈ આચાર્યએ કહ્યું માર્ગ અને મકાન વિભાગ અમારી પાસે રજૂઆત લઈને આવશે તો અમે સુરક્ષા ઉપલબ્ધ કરાવીશું. હાલમાં પૂરજોશમાં હળવદથી રણમલપુરને જોડતા રોડની કામગીરી ચાલી રહી છે. અને પાણીનો યોગ્ય નીકાલ થશે તો જ રોડની યોગ્ય ગુણવત્તા જળવાઈ રહેશે. જેથી કરીને પેશકદમી કરેલા ખાતેદારોએ નૈતિક જવાબદારી સમજીને દબાણ દૂર કરી લેવા જોઈએ.
અમે સ્થળ ચકાસણી કરીને રિપોર્ટ કરીશું: રેવન્યુ તલાટી
પેશકદમી બાબતે રણમલપુર ગ્રુપના રેવન્યુ તલાટી મંત્રી હર્ષાબેન ગઢવી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે નાયબ મામલતદારને વાત કરી છે. અને સ્થળ ચકાસણી કરી રિપોર્ટ કરીશું.

