જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે મંગળવારે 12માં દિવસે સુનાવણી થશે. 28 ઓગસ્ટે થયેલી સુનાવણીમાં કોર્ટે કલમ 35Aને નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરતી કલમ ગણાવી હતી.
ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકોને બંધારણની કલમ 35A હેઠળ વિશેષાધિકાર આપવામાં આવ્યા છે. પરંતુ, આ કલમને કારણે દેશના લોકોના ત્રણ મૂળભૂત અધિકારો છીનવાઈ ગયા. આ કલમને કારણે અન્ય રાજ્યોના લોકોના નોકરી મેળવવા, જમીન ખરીદવા અને કાશ્મીરમાં સ્થાયી થવાના અધિકારોનું ઉલ્લંઘન થયું હતું.
સરકારે કહ્યું- કેન્દ્રના કાયદાનો ત્યાં અમલ નથી થઈ રહ્યો.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 લાગુ થવાને કારણે ત્યાં કેન્દ્રના ઘણા કાયદા લાગુ નથી થતા. દેશના બંધારણમાં શિક્ષણનો અધિકાર ઉમેરવામાં આવ્યો હતો, પરંતુ કલમ 370ને કારણે આ કાયદો ત્યાં લાગુ થઈ શક્યો નહોતો.
કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના લોકોને સમાનતા પર લાવવામાં આવ્યા હતા. હવે ત્યાં કેન્દ્રના કાયદાનો અમલ થઈ રહ્યો છે. ઉદ્યોગપતિઓ ત્યાં રોકાણ કરવા માંગે છે. પ્રવાસન પણ વધી રહ્યું છે. પહેલા ત્યાં હાઈકોર્ટના ન્યાયાધીશો રાજ્યના બંધારણના શપથ લેતા હતા. હવે તેમની પાસે દેશના બંધારણને લાગુ કરવાની જવાબદારી છે.
કલમ 370 સંબંધિત અરજીઓની સુનાવણી CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ કરી રહી છે. સોમવારની સુનાવણી શરૂ થતાં જ CJIએ પહેલા જમ્મુ અને કાશ્મીરના શિક્ષણ વિભાગમાંથી સસ્પેન્ડ કરાયેલા લેક્ચરર ઝહૂર અહેમદ ભટ વિશે વાત કરી.
અરજદારોના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને માહિતી આપી હતી કે ઝહૂર ભટ 23 ઓગસ્ટે થોડા સમય માટે કોર્ટમાં આવ્યા હતા અને 25 ઓગસ્ટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેના પર ન્યાયાધીશોએ આશંકા વ્યક્ત કરી હતી કે, ઝહૂર પાસેથી બદલો લેવાના ઈરાદાથી આવું કરવામાં આવ્યું નથી.
CJIએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને J&Kના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે વાત કરવા અને કલમ 370 નાબૂદ કરવા સામે કોર્ટમાં દલીલ કર્યાના થોડા દિવસો બાદ જ ભટને પદ પરથી કેમ હટાવવામાં આવ્યા તે જાણવાનો નિર્દેશ આપ્યો હતો.
કેન્દ્રએ સુનાવણીના 9મા દિવસે (23 ઓગસ્ટ) દરમિયાન સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વીય રાજ્યોને આપવામાં આવેલ વિશેષ દરજ્જાને રદ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એડવોકેટ મનીષ તિવારીની દલીલોના જવાબમાં આ વાત કહી. હકીકતમાં, તિવારીએ કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરને લાગુ પડતા બંધારણના ભાગ 21 માં સમાવિષ્ટ જોગવાઈઓ સિવાય, ઉત્તર-પૂર્વને સંચાલિત કરતી અન્ય વિશેષ જોગવાઈઓ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- જ્યારે કેન્દ્રએ કહ્યું છે કે તેનો આવો કોઈ ઈરાદો નથી તો આપણે શંકા કેવી રીતે કરી શકીએ?