અરવલ્લી જિલ્લાના મોડાસા-રાજેન્દ્રનગર હાઇવે પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે અચાનક કોઈ કારણસર આગ લાગી ગઈ હતી વિસ્ફોટ પદાર્થની ફેક્ટરી હોવાથી ગણતરીની મિનીટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું . આગની ઘટનાને પગલે ફેકટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ એટલી ગંભીર હતી કે ઘટના સમયે નજીક કામ કરતા મજુરને બચવાનો મોકો પણ મળી શક્યો ન હતો અને આ આગમાં ચાર મજૂરો જીવતા ભૂંજાઈ ગયા હતા .
બપોરના સમયે મોડાસા- રાજેન્દ્રનગર હાઇવે પર ફટાકડાની ફેક્ટરીમાં લાગેલ આગથી તંત્ર દોડતું થયું છે. આગ એટલી વિકરાળ છે કે દૂર દૂર સુધી આગના ગોટેગોટા દેખાઈ છે. આ દરમિયાન ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગે આસપાસનાં રહેણાક મકાનોને પણ પોતાની ચપેટમાં લીધાં છે. આગની ઘટનાથી માર્ગ પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાય છે. મોડાસા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. બીજી તરફ મેજર ફાયર કોલ ડિક્લેર થઈ ચૂક્યો છે. 35 થી 40 લોકો ફસાયાનું તંત્ર દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગમાં ચાર મજૂરોનાં મોત થયાં હતાં. લલિત, અજય, રામભાઈ, સાજન નામના મજૂરોનાં મોત થયાં છે. આગમાં બે વાહનો બળીને ખાખ થયાં છે. ત્યારે આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

