મોરબીની આર્ટ્સ કોલેજના એન એસ એસ યુનિટ દ્વારા ખાખરાળા ગામે ચાલી રહેલી સાત દિવસની શિબિરમાં છઠ્ઠા દિવસે ૧૯ ફેબ્રુઆરીના રોજ પ્રભાતફેરી અને વ્યાયામ-પરેડ બાદ સવારે ૧૦ વાગ્યે તમન્ના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આંખ નિદાનની શરૂઆત થઈ હતી. આંખના નંબર તથા જરૂરી તપાસણી માટે ટ્રસ્ટ વતી હનીફભાઇ મેમણ આંખના તપાસણીના જરૂરી સાધનો અને સામગ્રી લઈને આવ્યા હતા. સવારથી જ આંખની તપાસણી કરવા આવેલા ગ્રામજનોનો ઘસારો રહ્યો હતો. તજજ્ઞ હનીફભાઈએ તેની પૂરી કુશળતા અને જહેમત ઉઠાવી હતી. એન એસ એસના સ્વયંસેવક મિત્રોએ તેમને આસિસ્ટન્ટ તરીકે પૂરેપૂરો સહકાર આપ્યો હતો અને સુવ્યવસ્થિત આયોજન કરી છેવટ સુધી જાળવી રાખ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે પાંચ વાગ્યા સુધીની સતત તપાસણીમાં ૨૮૫ ગ્રામજનોને નંબરની તથા અન્ય ચકાસણી કરવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત એનએસએસના કેટલાક સ્વયંસેવકો મળીને કુલ 300 જેટલા વ્યક્તિઓની આંખની તપાસણી કેમ્પના આ દિવસે કરવામાં આવી હતી. જરૂરિયાત મંદને ખૂબ વ્યાજબી દરે નંબર વાળા ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. ગ્રામજનોએ આ કેમ્પનો પૂરતો લાભ લીધો હતો, સ્વયંસેવકોએ પૂરતી વ્યવસ્થા કરી હતી અને તજજ્ઞ હનીફભાઈએ પોતાના અનુભવે પૂરતી ક્ષમતાનો ઉપયોગ કર્યો હતો. પરિણામે આ વિશેષ પરિણામ લખી કાર્ય સંભવ બન્યું હતું
આંખ નિદાન તથા રસોઈ કામમાં રોકાયેલા સ્વયંસેવકો સિવાયના સ્વયંસેવકોનું ટૂંકું પોણા કલાકનું એક સેશન મળ્યું હતું. જેમાં સ્વયંસેવક અને યોગના શિક્ષક એવા કુલદીપ ધરોડિયાએ જુદા જુદા આસનો કરી તેની સમજૂતી આપી તેના ફાયદાઓ દર્શાવ્યા હતા અને યોગનું સ્વાસ્થ્યમાં મહત્વ સમજાવ્યું હતું.લગભગ પાંચ વાગે આંખ નિદાનનું કાર્ય અને સંગીતનો કાર્યક્રમ સંપૂર્ણ થયા હતા. મહેમાનોને વડાવીને સ્વયંસેવકોએ ગરબાની મોજ માણી હતી. ગામના બાળકો પણ તેમાં જોડાયા હતા.
૨૦ ફેબ્રુઆરીએ આ શિબિરનો અંતિમ દિવસ હતો. આ દિવસે સવારના નિત્ય ક્રમ બાદ સ્વયંસેવકો ગ્રામજનોની શુભેચ્છા મુલાકાતે નીકળ્યા હતા. ભાઈઓ-બહેનોના જુદા જુદા ગ્રુપ છ દિવસ દરમિયાન ગામના જે મોટાભાગના વિસ્તારોના લોકોને મળ્યા હતા તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી.બપોર બાદ સમાપન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમનું સંચાલન કરતા એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ શિબિરની સફળતા માટે સૌથી મહત્વનું સોપાન નિષ્ઠાવાન સ્વયંસેવકોને ગણ્યું હતું. સવારની પ્રભાતફેરીથી માંડીને રાત્રિના ભોજન સુધી સ્વયંસેવકો જે શિસ્ત, નિષ્ઠા અને લાગણીથી કાર્યપ્રવૃત્ત રહેતા હતા તે વૃત્તિને તેમણે કેન્દ્રસ્થાને ગણાવેલ. આ ઉપરાંત ગ્રામજનોનું હકારાત્મક વલણ, વિશિષ્ટ અને ઉચ્ચ સ્તરના તજજ્ઞોની ઉપલબ્ધિ, શાળાનું સારું આંતર માળખું અને આચાર્ય તથા શિક્ષકગણનું સહકારીતાપણું આ શિબિરની સફળ ઉપલબ્ધિના સોપાન બન્યા હતા.

