મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ તા. 1 જુલાઈથી 7 જુલાઈ, 2026 દરમિયાન ફાયર સેફ્ટી જાગૃતિ, પ્રિવેન્શન ચેકિંગ તેમજ ઈમરજન્સી રિસ્પોન્સની વિવિધ કામગીરી સફળતાપૂર્વક હાથ ધરી હતી.
આ સમયગાળા દરમિયાન શહેરની ત્રણ કોમર્શિયલ બિલ્ડીંગોમાં આશરે 40 લોકોને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન આગથી બચાવના ઉપાયો, ફાયર સેફ્ટી સાધનોનો યોગ્ય ઉપયોગ તેમજ આગ કે અન્ય દુર્ઘટના સર્જાય ત્યારે જાનમાલનું નુકસાન ઓછું કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ફાયર પ્રિવેન્શન અભિયાન અંતર્ગત વિવિધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી પણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જરૂરી સુવિધાઓમાં ખામી જોવા મળતાં સંબંધિત બિલ્ડીંગોને નોટિસ પાઠવી નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત, ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે પ્રાપ્ત થયેલી ચાર અરજીઓને વધુ કાર્યવાહી માટે આર.એફ.ઓ. કચેરીમાં મોકલવામાં આવી છે. ગત સપ્તાહ દરમિયાન ફાયર વિભાગે શહેરમાં મળેલા બે રેસ્ક્યૂ કોલનો તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો. તેમજ ત્રણ અલગ-અલગ સ્થળોએ આગ લાગ્યાની ઘટનાઓમાં ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ નાગરિકોને અપીલ કરી છે કે, આગ અથવા અન્ય કોઈપણ પ્રકારની ઈમરજન્સી સર્જાય તો વિલંબ કર્યા વિના મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના 02822-230050 નંબર પર અથવા ટોલ ફ્રી 101 અને 112 પર તાત્કાલિક જાણ કરવી.

