ઉત્તર કોરિયાએ પરમાણુ શસ્ત્ર વહી શકે તેવા પ્રબળ ઈન્ટર-કોટીનેન્ટલ-બેલાસ્ટિક મિસાઇલ (આઈ.સી.બી.એમ.)નું એક જ સપ્તાહમાં બીજી વખત પરીક્ષણ કરતાં, યુનોની સલામતી સમિતિની એક મહિનામાં બીજી વખત બેઠક બોલાવવી પડી હતી. તેમાં ભારતે ઉત્તર કોરિયાની આ ‘કાર્યવાહી’ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે આ આઈ.સી.બી.એમ. તેટલાં પ્રબળ છે કે તે અમેરિકાના છેક પૂર્વ તટે રહેલા ન્યૂયોર્ક-બાલ્ટીમોર, વૉશિગ્ટન અને માયામીને પણ તબાહ કરી શકે તેમ છે.
ભારતે તે અંગે પોતાની ચિંતા દર્શાવતાં કહ્યું હતું કે આથી આ વિસ્તારની શાંતિ અને સલામતી જોખમાઈ જવાની શક્યતા છે. આ સાથે ભારતે સમગ્ર કોરિયન દ્વિપ કલ્પને પરમાણુ-શસ્ત્ર-મુક્ત કરવા ઉપર પણ ભાર મુક્યો હતો, અને કહ્યું કે તે સૌ કોઈના સામુહિક હિતમાં છે કે કોઈ પણ મુદ્દાનો ઉકેલ મંત્રણાઓ અને રાજદ્વારી રીતે જ આવવો જોઈએ. ભારતે ભારપૂર્વક સલામતી સમિતિની બેઠકમાં આ પ્રમાણે જણાવ્યું હતું.
‘ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઑફ કોરિયા’ (ડી.પી.આર.કે.) (ઉત્તર કોરિયા) એ તેનાં આઈસીબીએમના કરેલા છેલ્લા પ્રયોગથી ઉ.કોરિયા અને અમેરિકા તથા તેના સાથી છે. દેશો વચ્ચે તણાવ ઘણો જ વધી ગયો છે, અને તે દેશોએ ઉત્તર કોરિયાને તેનો આ ‘ઘાતક’ કાર્યક્રમ બંધ કરવા જણાવ્યું હતું. સલામતી સમિતિના તમામ ૧૫ સભ્ય દેશો પૈકી રશિયા અને ચીને જ ઉ.કોરિયાની આ ‘કાર્યવાહી’ અંગે તેની ઉપર મુકાનારા વધુ કઠોર પ્રતિબંધોની સંભાવના વચ્ચે તેને ટેકો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે પણ આવું આઈસીબીએમ (પરમાણુ શસ્ત્ર વગરનું) અંતરિક્ષ તરફ ઉડાડયું હતું : તે પૃથ્વી પર જાપાનની જળસીમાની અંદર પડયું હતું.
ઉત્તર કોરિયાની આવી હરકતો અંગે યુનો અને યુનોની સલામતી સમિતિનાં ભારતનાં રાજદૂત રૂચિરા કમ્બોજને ‘સલામતી સમિતિ’માં જણાવ્યું હતું કે આપણે એક જ મહિનામાં બીજી વખત ડી.પી.આર.કે.ની કાર્યવાહી અંગે મળી રહ્યા છીએ. ડી.પી.આર.કે. દ્વારા કરાયેલો આ બીજો આઈસીબીએમ પ્રયોગ, તેણે તે પૂર્વે કરેલા અન્ય પ્રયોગોના પગલે થઈ રહ્યો છે.
સલામતી સમિતિની આ મહત્વની ખાસ બેઠકમાં રૂચિરા કમ્બોજે જણાવ્યું હતું કે ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઓફ કોરિયાઓ આ દ્વારા ‘સલામતી સમિતિ’ના ઠરાવનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. આથી આ વિસ્તારની શાંતિ અને સલામતી ઉપર જોખમ ઊભું થયું છે. તેમ કહેતાં રૂચિરા કમ્બોજે જણાવ્યું હતું કે પરમાણુ શસ્ત્રના પ્રસાર, તેમની મિસાઈલ ટેકનોલોજી અંગે યુનોએ સ્થાપેલા નિયમોનો ભંગ તો ચિંતાજનક છે. તેથી તે વિસ્તારની શાંતિ અને સલામતી જોખમાય છે, ભારતની પણ શાંતિ અને સલામતી જોખમમાં આવી પડી શકે તેમ છે. આશા રાખીએ છીએ કે આંતર-રાષ્ટ્રીય સમાજ અને સલામતી સમિતિ આ પડકાર સામે એક બની ઊભાં રહેશે. (જોકે નિરીક્ષકો તો સ્પષ્ટતા કરે છે કે (ઉ.કોરિયા તો સરમુખત્યાર) કોઈનું માને તેમ નથી. સંભવ તે છે કે તેને આગળ કરી ચીન જ દુનિયાને ડરાવવા માગે છે. રશિયા યુક્રેન માનવસંહાર પરથી પણ દુનિયાનું ધ્યાન બીજે દોરવા માગે છે. જ્યારે ચીન-તાઈવાન પર ટાંપીને બેઠું છે. દુનિયાનું ધ્યાન ચુકાવી તાઈવાન લઈ લેવા માગે છે. આમ ઉ.કોરિયાએ ભારે ઉધ્ધતાઇ સર્જી છે.