પાટડીના માલવણ હાઇવે પર કચોલિયા ગામ પાસે ગાડી પલ્ટી ખાતા કાર ચાલકનું મોત નિપજ્યું હતુ. જેમાં મોરબીનો શખ્સ અમદાવાદથી પરત આવી રહ્યો ત્યારે કચોલિયા પાસે અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતુ.
અકસ્માત ઝોનમાં આવતા માલવણ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે મોરબીનો અજયભાઇ હસમુખભાઇ નિમાવત નામનો 35 વર્ષનો યુવાન પોતાની ક્રેટા ગાડી લઇને પુરઝડપે અમદાવાદથી મોરબી પરત આવી રહ્યો હતો. ત્યારે પાટડીના માલવણ હાઇવેના કચોલિયાના બોર્ડ પાસે કારચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ નીચે ઉતરીને પલ્ટી ખાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ગોઝારા અકસ્માતની ઘટનામાં કાર ચાલક અજયભાઇ નિમાવતને માથામાં અને દાઢીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી એને લોહિલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં મૃતક અજયભાઇ નિમાવતના પરિવારજનો મોરબીથી પાટડી સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલિસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.