મોરબીના ઔધોગિક ઝોન એવો પીપળી જેતપર રોડ લાંબા સમયથી અત્યંત દયનીય સ્થિતિમાં છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા પીપળી જેતપર રોડને ફોરલેન કરવા મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ તેની ગ્રાન્ટ ફાળવાઈ અને ટેન્ડરિંગ થયા પરંતુ હજુ સુધી રોડ શરૂ ન થતાં લોકોની ધીરજ ખૂટી છે. લોકો અનેક વખત રજૂઆત કરીને થાકી જતાં સોશિયલ મીડિયામાં વિરોધ ઠાલવી રહ્યા છે ત્યારે શહેરીજનોની આ સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સક્રિયતા દાખવી ગાંધીનગર માર્ગ મકાન વિભાગના સચિવ વસાવાને રૂબરૂ મળ્યા હતા અને આ રોડની ગંભીર સ્થિતિને પગલે લોકોની હાલત દયનીય બની છે જેથી તાત્કાલિક રસ્તાની મરામત કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.
પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈની રજૂઆત બાદ તંત્રમાં સળવડાટ થયો હતો અને તાત્માકાલિક માર્ગ મકાન વિભાગના ચીફ એન્જિનિયર ચાવડા અને તેમની ટીમ આજે મોરબી પીપડી રોડની મુલાકાતે આવી હતી અને રોડની સ્થિતિની સમીક્ષા કરી હતી. ચીફ એન્જિનિયર દ્વારા પણ હાલ રોડની મરામતની જરૂર હોય તેમ સ્વીકાર કરી તાત્કાલિક સ્થાનિક માર્ગ અને મકાન વિભાગના અધિકારીને રોડના રિપેરિંગના એસ્ટીમેટ તૈયાર કરવા અને જરૂરી દસ્તાવેજ સાથે સોમવારે ગાંધીનગર બોલવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ રોડની મરામત કરવા શક્ય તેટલા પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી માર્ગ મકાન વિભાગના એન્જિનિયરે આપી હોવાનું પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું.

