જામનગર નજીકના ખીજડીયા બાયપાસ ધોરીમાર્ગથી લાલપુર બાયપાસ તરફ જતા રોડ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના સરપંચના પુત્રનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોતાની કારમાં લમણે ગોળી જીકેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ બનાવ આત્મહત્યા છે કે હત્યા છે તેને લઈને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
જામનગરની ભાગોળે આવેલા ખીજડીયા બાયપાસ નજીકની સમરસ હોસ્ટેલ સામેના રોડ પરથી કારમાં ગોળી ધરબેલી હાલતમાં જય પીઠાભાઈ ડેર નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવના પગલે પંચકોષી એ ડિવિઝન એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ભોગગ્રસ્ત મૃતક જામનગરમાં રહેતા પીઠાભાઈ ડેરનો પુત્ર જય હોવાનું સામે આવતા આહીર સમાજના અગ્રણીઓ અને ડેર પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો.
મૃતકના પિતા પીઠાભાઈ ડેર ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના સરપંચ હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા આહીર સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.

