ચોટીલા પર રોપ-વે બનાવવાનો વિવાદમાં ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિતના સબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે મેસર્સ માર્સ એન્ટરટેઇન લિ.ને રોપ-વેના કોન્ટ્રાકટનું કામ જેને અપાયું છે તે નિર્ણય સંદર્ભે આગળની કોઇ કાર્યવાહી હાથ ધરવા સામે સત્તાવાળાઓને સ્ટે ફરમાવી દીધો છે.
સિદ્ધાંત વિરૂદ્ધ: ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ તરફથી હાઇકોર્ટમાં કરાયેલી જાહેરહિતની અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, લાખો-કરોડો શ્રધ્ધાળુ ભકતોની આસ્થાના પ્રતિકસમા ચોટીલાધામ પર રોપ-વે બનાવવાના મામલે અગાઉ પણ રિટ પિટિશન થઇ હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા અરજદારને સરકાર સમક્ષ તેમના વાંધા અને સૂચનોની રજૂઆત કરવા નિર્દેશ કરાયો હતો. પરંતુ સરકારે અરજદારના વાંધા અને સૂચનો નકારી કાઢયા હતા. બીજી તરફ હવે ફરીથી સરકાર દ્વારા મેસર્સ માર્સ એન્ટરટેઇન લિ.ને રોપ-વે માટેના કોન્ટ્રાક્ટની મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે પરંતુ સરકારના સત્તાવાળાઓનો નિર્ણય ગેરકાયદે, અયોગ્ય અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધનો છે.

