રાજ્યમાં અલગ અલગ માર્ગો પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે આણંદ જીલ્લાના ધર્મજ-તારાપુર હાઈવે ઉપર પુરપાટ ઝડપે જતી લક્ઝરી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર 30 મુસાફરો પૈકી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ ઘટનાની જાણ થતા તારાપુર પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
સુરતના કતારગામથી પાલિતાણાના જેસર ગામ તરફ જતી ખાનગી લક્ઝરી બસ મંગળવારે સવારે ધર્મજ તારાપુર હાઈવે પર જઈ રહી હતી તે દરમિયાન અચાનક બસના ચાલકે કાબુ ગુમાવતા રોડ ઉપર લગાવેલા સાઈન બોર્ડ સાથે બસ અથડાઈ હતી અને બસ પલટી મારી ગઈ હતી જેથી બસમાં સવાર સુરતના કતારગામના 30 મુસાફરો પૈકી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતા તારાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને 108 મારફત તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

