જામનગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં ગાય લોહી લુહાણ થતાં અફડાતફડી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં સોનલનગર વેક્સિનેશન કેન્દ્ર પર માલધારીઓનું ટોળું ધસી ગયું હતું. જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. લમ્પી રસીકરણ કેન્દ્રમાં ગાયના મોતનો આક્ષેપ ટોળાંએ કર્યો હતો. ઇજાગ્રસ્ત ગાયની સારવાર બાદ મામલો શાંત પડયો હતો. રાત્રીના સમયે ઢોર પકડવાની કામગીરી દરમ્યાન આ બનાવ બન્યો હતો. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ જીવલેણ બનતા મનપાએ 4 ટીમ બનાવી પોલીસને સાથે રાખી દિવસ અને રાત્રીના ત્રણ શીફટમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ થઈ: ગુજરાત હાઈકોર્ટની કડક સૂચના પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી તીવ્ર બનાવવામાં આવી છે. રસ્તા ઉપર ઢોરને છુટા મૂકનાર ઢોર માલિકો સામે ફોજદારી ફરિયાદ નોંધાવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. સોમવારે સાંજે જૂની જયશ્રી ટોકિઝ પાસે એક ગાય રખડતી હાલતમાં જોવા મળતા મનપાના સિક્યુરિટી ઈન્ચાર્જ આર.બી.જાડેજાએ તે ગાયના માલિક અંગે તપાસ કરાવતા ત્યાં આવેલા તેના માલિક હેમત વાઘેલાએ પોતાની પાસે ગાય બાંધવા માટે વ્યવસ્થા નથી તેથી ગાય છૂટી જ ફરશે તેમ જણાવતા હેમત સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. તદઉપરાંત તળાવની પાળે પાબારી હોલ પાસેથી એક ગાય રખડતી જોવા મળતા તેના ટેગ પરથી તેના માલિક સામે પણ પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

