અમદાવાદમાં એસ. જી. રોડ પહેલેથી પ્રોપર્ટીને લઈને પ્રીમિયમ વિસ્તાર મનાય રહ્યો છે. અહીં થઈ રહેલા જમીનના સોદાની રકમ કરોડોમાં છે. તાજેતરમાં અહીં 118 કરોડ રૂપિયામાં એક પ્લોટનો સોદો થયો છે. થોડા સમય પહેલા પણ અહીં 100 કરોડ રૂપિયાથી વધારે રકમમાં લેન્ડ ડીલ થઈ હતી. અમદાવાદના એક રિયલ્ટી ડેવલપરે વૈષ્ણોદેવી સર્કલ પાસે 17,500 ચોરસ વારનો પ્લોટ ખરીદ્યો છે જેમાં 118 કરોડ રુપિયામાં સોદો થઈ ગયો છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વૈષ્ણોદેવી પાસે આ પ્લોટ શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ખરીદવામાં આવ્યો છે.
ટોપ ગેરમાં ડીલ: કોવિડના કારણે બે વર્ષ સુધી માર સહન કર્યા પછી રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી જોવા મળી છે. ખાસ કરીને અમદાવાદમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં જોરદાર સોડા થતાં જોવા મળ્યા. કોમર્શિયલ ઇન્વેન્ટરીમાં ઘટાડો અને માંગમાં વધારાના કારણે તેજી જોવા મળી છે. નવી અને વધુ સ્પેસ ધરાવતી ઓફિસની માંગમાં વધારો થયો છે ત્યારે કોમર્શિયલ સ્પેસ માટે ડિમાન્ડ વધવાથી નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે.
શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના CMD પારસ પંડિતે જણાવ્યું કે, “અમે વૈષ્ણોદેવી સર્કલ પાસે 17500 ચોરસ વારની જમીન ખરીદવા ડીલ શરૂ કરી છે. આ સોદો ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. તાજેતરમાં આ એરિયામાં મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાલે છે અને એસજી રોડ પહોળો કરવામાં આવ્યા પછી અહીં કનેક્ટિવિટીમાં સુધારો થયો છે. અહીં મોટી સંખ્યામાં કોર્પોરેટ હાઉસ બન્યા છે અને મોટા પ્રમાણમાં કોમર્શિયલ ડેવલપમેન્ટ થયું છે. અમને લાગે છે કે હાઈ-એન્ડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે આ બહુ મહત્ત્વનો વિસ્તાર છે. અમે આ પ્લોટ પર એક પ્રોજેક્ટ લોન્ચ કરવાના છીએ.”

