દેશભરના સૌથી મોટી મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીના ઉધોગકારોએ આવનાર 10 ઓગસ્ટથી એક મહિના સુધી વેકેશનમાં જવાનો નિર્ણય લીધો છે. આ પહેલા એક કોરોનાકાળમાં લાગેલ લોકડાઉનને પગલે દોઢ મહિના સુધી ફેકટરી બંધ રહી હતી અને તેના કારણે જે તે વખતે સ્ટોક અને ડિમાન્ડ સપ્લાય ચેઇન યોગ્ય થઈ ગઈ હતી.જોકે બે વર્ષ બાદ ફરી એકસપોર્ટ અને ડોમેસ્ટિક એમ બન્ને માર્કેટમાં ડીમાન્ડમાં મોટા પાયે ઘટાડો આવતા ફરી સ્ટોક લિમિટ ખુબ વધવા લાગી છે બીજી તરફ ગેસના વધતા ભાવ, ચોમાસાના કારણે મજૂરની અછત સહિતના પ્રશ્ન સર્જાતા મોરબીના સીરામીક ઉધોગકારો એ ચાઈનાની માર્કેટની જેમ એક મહિનાનું સ્વેચ્છીક વેકેશન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 10 ઓગસ્ટથી સપ્ટેબર સુધી મોરબીના 800થી વધુ વોલ ટાઇલ્સ, વિટ્રીફાઈડ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ તેમજ સેનેટરીના યુનિટ બંધ થવાનો નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંગે સીરામીક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના અલગ અલગ દ્વારા પત્રકાર પરિષદ કરી હતી અને માહિતી આપતા જણાવ્યું હતું કે ચોમાસાના પગલે બાંધકામ ઉધોગ સુસ્ત થઈ ગયો છે જેના પગલે મોરબીના સીરામીક ઉધોગમાં છેલ્લા કેટલાય સમયથી ડીમાન્ડ ઘટી ચૂકી છે. તેમજ ઉધોગ પણ સતત ચાલતો હોવાથી મશીનરીમાં મેન્ટેનસ કામગીરી કરવા તેમજ હાલ જે સ્ટોક વધ્યો છે તે ફરીથી વ્યવસ્થિત થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

