તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે.
શું છે કેસ: કોર્ટમાં 12 પાનાના એફિડેવિટમાં સરકાર પાડવા માટે મોટુ ષડયંત્ર રચ્ચું હોવાનો ખુલાસો થયો છે. કોર્ટમાં ખાસ સરકારી વકીલ અમિત પટેલ દ્વારા આ સોંગદનામું રજૂ કરાયું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તિસ્તા સેતલવાડ દ્વારા રૂપિયા મંગાવ્યા અને આર્થિક લાભ લીધો. કોગ્રેસના સિનિયર નેતા અને સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથેની બેઠકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આવું હતું: સોગંદનામામાં જણાવાયું છે કે સેતલવાડે કથિત રીતે આ કાવતરાના ભાગરૂપે શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તેણે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે મીટિંગ કરી હતી અને પ્રથમ વખતમાં રૂ.5 લાખ લીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું છે કે પટેલ અને સેતલવાડની ફરી મુલાકાત શાહીબાગમાં સરકારી સર્કિટ હાઉસમાં થઈ હતી, જેમાં સાક્ષીએ પટેલની સૂચના પર સેતલવાડને વધુ 25 લાખ રૂપિયા આપ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગમાં આપવામાં આવેલી રોકડ કોઈ રાહત ફંડનો ભાગ નથી
એફિડેવિટ: આજે જામીન માટેની સુનાવણી દરમિયાન આ મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષાના સલાહકાર અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લેવામાં આવ્યા છે. જેનો ઉલ્લેખ એફિડેવિટમાં કરાયો છે. આ એફિડેવિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ પૈસાનો ઉપયોગ તિસ્તા દ્વારા સર્કિટ હાઉસના વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો. જેના પુરાવા અને સાક્ષીનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે.

