શનિવારે ઈન્ડિગોની 55 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી હતી, કારણ કે સ્ટાફ મેમ્બરોએ મેડિકલ લીવ લીધી હતી અને એર ઈન્ડિયાની ભરતી ડ્રાઈવ પર ઉતર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે તમામ ક્રૂ મેમ્બર બીમારીના નામે રજા લઈને એર ઈન્ડિયાની રિક્રુટમેન્ટ ડ્રાઈવમાં સામેલ થવા ગયા હતા. ટાટા ગ્રૂપની એર ઈન્ડિયા ભરતી ડ્રાઈવનો બીજો રાઉન્ડ 2 જુલાઈએ હતો, આ જ કારણ હતું કે મેડિકલ લીવ લઈને ઈન્ડિગોના મોટાભાગના ક્રૂ મેમ્બર નવી રોજગારની શોધમાં ત્યાં પહોંચ્યા હતા. ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો હાલમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દૈનિક લગભગ 1600 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે.
તાજેતરમાં, સમગ્ર દેશમાં ઈન્ડિગો એરલાઈન્સની કામગીરી પ્રભાવિત થઈ હતી અને તેની ઘણી ફ્લાઈટ્સ વિલંબનો સામનો કરી રહી છે. તેની પાછળનું કારણ ક્રૂ મેમ્બરની ઉપલબ્ધતા ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના ડેટા અનુસાર, શનિવારે ઈન્ડિગોની માત્ર 45 ટકા ફ્લાઈટ્સ સમયસર ઓપરેટ થઈ હતી. પીટીઆઈના જણાવ્યા મુજબ, મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બરોએ માંદગીની રજા લીધી અને એર ઈન્ડિયાની ભરતી ડ્રાઈવ માટે રવાના થઈ ગયા.ઉદ્યોગના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “એર ઈન્ડિયાની ભરતી ડ્રાઈવનો બીજો તબક્કો શનિવારે હાથ ધરવામાં આવ્યો હતો અને ઈન્ડિગોના મોટાભાગના કેબિન ક્રૂ સભ્યો જેમણે માંદગીની રજા લીધી હતી તેઓ તેમાં ગયા હતા.”

ઈન્ડિગોની માત્ર 45.2 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શનિવારે સમયસર ઓપરેટ થઈ હતી. જ્યારે એર ઈન્ડિયા, સ્પાઈસજેટ, વિસ્તારા, ગોફર્સ્ટ અને એરએશિયા ઈન્ડિયાએ અનુક્રમે 77.1%, 80.4%, 86.3%, 88% અને 92.3% ફ્લાઈટ્સ સમયસર ચલાવી હતી. ગયા વર્ષે 8 ઑક્ટોબરે એરલાઇન માટે સફળતાપૂર્વક બિડ જીત્યા પછી, ટાટા જૂથે 27 જાન્યુઆરીએ એર ઇન્ડિયા પર નિયંત્રણ મેળવ્યું. એર ઈન્ડિયાએ નવા એરક્રાફ્ટ ખરીદવાની અને સેવાઓમાં સુધારો કરવાની યોજના હોવાથી ભરતી ડ્રાઈવ શરૂ કરી છે.
એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ભારે વિલંબ માટે એરલાઈન પાસેથી ખુલાસો માંગ્યો છે. DGCAના એક અધિકારીએ જણાવ્યું કે, “નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઈન્ડિગો સામે કડક સંજ્ઞા લીધી છે અને દેશભરમાં એરલાઈન્સની ફ્લાઈટ્સમાં વિલંબ કરવા બદલ કડક કાર્યવાહી કરી ખુલાસો માંગવામાં આવ્યો છે.”IndiGo દૈનિક ધોરણે 1600થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.

