રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ JIOના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. કંપનીની લગામ હવે તેમના મોટા પુત્ર આકાશ અંબાણીને સોંપી દીધી છે. પિતા ધીરુભાઇ અંબાણીએ જે ભૂલ કરી હતી તે મુકેશ અંબાણી ફરી રિપીટ કરવા માંગતા નથી એટલે પોતાની હયાતીમાં જ સંપત્તિની જવાબદારી સોંપવાની તૈયારી કરી રહ્યા છે.
હેન્ડઓવર: દેશના સૌથી મોટા કોર્પોરેટ ગૃહોમાંના એક રિલાયન્સ ગ્રુપમાં આગામી પેઢીને કમાન્ડ આપવાની પ્રક્રિયા ઝડપી બની છે. આ ક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિયોના બોર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. આકાશ અંબાણીને રિલાયન્સ જિયોના બોર્ડનો ચેરમેન બનાવાયા છે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડએ મંગળવારે સ્ટોક એક્સચેન્જોને તેની જાણ કરી હતી.
કંપનીએ જણાવ્યું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેટર્સે નોન એક્ઝિકયૂટીવ ડિરેક્ટર આકાશ અંબાણીના ચેરમેન તરીકેની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. મુકેશ અંબાણીનું રાજીનામું 27 જૂને શેરબજાર બંધ થયા પછી માન્ય ગણવામાં આવ્યું છે.