ધારાસભ્ય પરેશ ધાનાણીએ રાજ્યની ભાજપ સરકાર સામે વીજ ગ્રાહકોના ફ્યૂઅલ સરચાર્જમાં વધારો ઝીંક્યા મામલે આકરા પ્રહાર કર્યા છે. ધાનાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર વીજળીના ભાવની બાબતમાં લોકોને છેતરી રહી છે. દર વર્ષે વીજળીનો ભાવ યથાવત રાખવાનું નાટક ભજવાય છે. પણ પાછલા બારણેથી ફ્યૂઅલ સરચાર્જમાં દરવર્ષે વધારો ઠોકી લૂંટ ચલાવાય છે.
ગત મે-2021માં સરકારી 1.30 કરોડ વીજગ્રાહકો પાસેથી ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઇઝ એડજસ્ટમેન્ટ ચાર્જ એટલે કે ફ્યૂઅલ ચાર્જ યુનિટ દીઠ રૂ. 1.80 વસુલાતો હતો તે મે-2022માં વધીને રૂ. 2.50 થઇ ગયો છે. મતલબ કે છેલ્લા એક વર્ષમાં સરકારી વીજટેરીફમાં કોઇ વધારો થયો નથી, પણ ફ્યૂઅલ સરચાર્જમાં એક જ વર્ષમાં યુનિટે 70 પૈસાનો ધરખમ વધારો થયો છે. જેના કારણે લોકોના રહેણાંકના વીજબીલમાં ફ્યૂઅલ સરચાર્જનું ભારણ આશરે 38 ટકા જેટલું વધી ગયું છે

