કેન્દ્રીય મંત્રી અમિત શાહ સોમવારે મોડી રાત્રે બેંગલુરુ પહોંચ્યા હતા. કર્ણાટકમાં 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે 150 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યાના માત્ર એક મહિના બાદ આ મુલાકાત નક્કી થઈ છે. આ વખતેની મુલાકાત રાજ્યમાં નેતૃત્વમાં સંભવિત ફેરફાર અને કેબિનેટમાં ફેરબદલ અથવા વિસ્તરણની અટકળો ચર્ચાય છે. બેંગલુરુમાં તેમના આગમન પર, શાહનું HAL એરપોર્ટ પર મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ, તેમના કેબિનેટના સભ્યો, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને અન્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાહ છેલ્લે તા.1 એપ્રિલે કર્ણાટકની મુલાકાતે ગયા હતા. રાજ્યની ભાજપ કોર કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. તે દરમિયાન પાર્ટી માટે ટાર્ગેટ નક્કી થયા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીને વધુ મજબુત બનાવવાની રીત અને અન્ય પક્ષોના નેતાઓને સામેલ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ‘ખેલો ઈન્ડિયા’ યુનિવર્સિટી રમતમાં સન્માન સમારોહમાં શાહની ભાગીદારી સહિત ઘણા કાર્યક્રમો મંગળવારે નક્કી છે. તેઓ બસવ જયંતિના અવસર પર 12મી સદીના સમાજ સુધારક અને લિંગાયત સંત બસવન્નાને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવાના છે. કર્ણાટકમાં લિંગાયતોને પ્રભાવશાળી સમુદાય અને ભાજપની મજબૂત વોટ બેંક માનવામાં આવે છે.

બોમ્માઈ પર વિધાનસભા ચૂંટણી પહેલા તેમના મંત્રીમંડળમાં ફેરબદલ અથવા વિસ્તરણ કરવા માટે દબાણ છે એવું માનવામાં આવે છે. તેમણે પહેલેથી જ સંકેત આપ્યો છે કે તેઓ શાહની મુલાકાત દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવાનો પ્રયાસ કરશે. યેદિયુરપ્પાએ શિમોગામાં પત્રકારોને કહ્યું કે, ગૃહમંત્રી શાહ આવી રહ્યા છે. હું તેમને મળીશ અને તેઓ રાજ્યની રાજકીય સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશે. રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે, વડાપ્રધાન અને અમિત શાહે કર્ણાટકને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. તેઓ સંભવતઃ આગામી વિધાનસભા ચૂંટણી માટે અમે નક્કી કરેલા 150 બેઠકોના લક્ષ્ય સુધી પહોંચવા માટે સૂચનો આપશે.

