દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને રાજકિય બેઠક શરૂ થઈ છે. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ખેડુત લગતી કેટલીક યોજનાઓને પણ એલાન થવાનું છે. જોકે ચર્ચા એ વાતની છે કે દિલ્હીમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી.
ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક બાદ ગુજરાતમાં એવી ચર્ચા શરૂ થઈ શકે વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. આગામી તારીખ 4 અને 5 મી મે ના રોજ ગુજરાત વિધાનસભાનું વિસર્જન થઈ શકે છે. ગુજરાતની રાજ્ય સરકારે ચૂંટણી કમિશનર વતી વિધાનસભા ચુંટણીની જવાબદારી સંભાળતા ચૂંટણી અધિકારીની બદલી કરીને એમના સ્થાને પી ભારતીને મૂકી દીધા છે. પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેનનું પદ છેલ્લા ઘણા સમયથી ખાલી પડી રહ્યું છે. જેમાં હવે કુલ ચાર સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વીટર એક પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર વિધાનસભાનો ભંગ કરીને વહેલાસર ચૂંટણી કરવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના નેતા ની આ વાતથી રાજકારણ ગરમાઈ રહ્યું છે બીજી તરફ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આ માટે ભાજપ સહિત તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ સૌથી વધારે ચર્ચા મુખ્યમંત્રીની વડાપ્રધાન સાથેની બેઠકની થઈ રહી છે. રાજકીય લોબીમાં ચર્ચા એવી પણ છે કે મોટા નેતાઓ ગુજરાતમાં આવીને પ્રચાર પડઘમ શરૂ કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કાર્યકરો તેમજ આગેવાનો સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે ચૂંટણી નવેમ્બર તેમજ ડિસેમ્બરમાં આવી શકે છે. જેને લઇને ભાજપના કદાવર નેતા ઓની ગુજરાત મુલાકાત વધી શકે છે જેમાં સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને ઉપેન્દ્ર યાદવ જેવા નેતા નો સમાવેશ થાય છે. ખાસ કરીને કેન્દ્ર સરકારના મંત્રીઓ ગુજરાત આવીને પ્રચાર અભિયાનમાં જોડાશે. જોકે રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રતિનિધિની નિયુક્તિ કરીને ભાજપને જવાબદારી સોંપી દીધી છે. જોવાનું એ રહે છે કે ભાજપ ચૂંટણી પ્રચારમાં કયા મુદ્દાઓ સાથે મેદાને ઉતરે છે.

