વડોદરા શહેરના ચકચારી મીરા હત્યા કેસમાં નર્મદા પોલીસની ટીમે આરોપીને પકડી પાડીને કેસ ઉકેલી નાંખ્યો છે. આ કેસમાં સંદીપે જ મીરાની ચુંદડી વડે એને ગળે ટૂંપો દઈને પતાવી દીધી હતી. એવું પોલીસ પૂછપરછમાંથી સામે આવ્યું છે. મીરાની હત્યા કરનાર સંદીપ પોલીસથી બચવા માટે વેશ બદલી રહ્યો હતો. તેણે પોતાના માથાના વાળ પણ કઢાવી નાંખ્યા હતા. આમ છતાં તે પોલીસની પકડથી બચી શક્યો નથી.
નર્મદા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે, ટેકનિકલ સર્વેલન્સના આધારે સંદીપ મકવાણા વડોદરા શહેરમાં હોવાની ચોક્કસ વિગત સામે આવી હતી. આ વિગત મળતા જ એક ટીમ રવાના થઈ હતી. પછી એની ધરપકડ થઈ અને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. ચાર વર્ષથી સંદીપ મીરા સાથે રીલેશનશીપમાં હતો. સંદીપ મીરા સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ મીરાએ લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો. સંદીપે લગ્નનો પ્રસ્તાવ પણ મીરા પાસે મૂક્યો હતો. યુવતીએ કરેલો ઈન્કાર પચાવી ન શકતા ગુસ્સે થઈ ગયો હતો.

જેમાં યુવતીની જ ચુંદડી વડે જ એને ગળે ટૂંપો દઈને હત્યા કરી હતી. પછી એને કેસરપુરા વિસ્તારમાં ફેંકીને ભાગી ગયો હતો. બીજા દિવસે તે લાશને જોવા માટે પણ આવ્યો હતો. પોલીસે એની ધરપકડ કરીને એની ચુંદડી પણ જપ્ત કરી લીધી છે. આ એક પૂર્વ આયોજિત કાવતરૂ હતું. બંને વચ્ચે કેવા સંબંધો હતા એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે 20 વર્ષની મીરા સોલંકી એકાએક ગુમ થઈ જતા પિતા નીલેશભાઈએ પોલીસ ફરિયાદકરી હતી. તિલકવાડાના ખેતરમાં એની લાશ મળી આવી હતી. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ કરી હતી. જ્યારે તે ઘરેથી નીકળી ત્યારે પિતરાઈ બહેનને મેસેજ કર્યો હતો કે, તે સંદીપ સાથે છે. ચિંતા ન કરશો. રવિવાર સાંજ સુધીમાં ઘરે આવી જશે. આ મેસેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસને પણ પ્રાથમિક તપાસમાં શંકા સંદીપ પર જ હતી. પછી સંદીપને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. વડોદરાના જુદા જુદા વિસ્તારમાં એક વૉચ ગોઠવી હતી. વડોદરાના વાઘોડિયા રોડ નજીકના પંચમ પાર્ટી પ્લોટ વિસ્તારમાં સંદીપ ફરી રહ્યો હતો. નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસને ટેક્નિકલ સર્વેલન્સના આધાર પર ચોક્કસ બાતમી મળી હતી. તા. 22 એપ્રિલના રોજ પોલીસે વડોદરામાંથી સંદીપને પકડી લીધો હતો. આ કેસમાં વધુ તપાસ પોલીસ કરી રહી છે.

