વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ રાજ્યમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની સીઝન આવી ચૂકી છે. આગામી દિવસોમાં પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય એનસીપી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ શકે છે. પાટીલ સાથેની મુલાકાતે જ ધારાસભ્ય ભાજપ જોડાશે તેવો ઈશારો કર્યો હતો.

સૌરાષ્ટ્રના ભાજપના પૂર્વ મંત્રીએ ઓપરેશન સૌરાષ્ટ્ર પાર પાડ્યું છે. સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોરબંદરના કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપમાં જોડાશે. કાંધલ જાડેજાએ ભાજપ પ્રદેશ પ્રમખુ સી.આર. પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે કાંધલ જાડેજાને સૌરાષ્ટ્ર પ્રવાસમાં સાથે રાખ્યા હતા.

અમિત શાહની લીલીઝંડી આવતા જ કાંધલ જાડેજા કેસરિયા કરશે. સૂત્રોએ જણાવ્યું કે, 2022 વિધાનસભાની ચૂંટણી કાંધલ જાડેજા ભાજપના બેનર સાથે ચૂંટણી લડશે. સતત 2 ટર્મથી કાંધલ જાડેજા પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય પદે જીતીને આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે જ રાજકોટની કોર્ટે તેને પોરબંદરના ખૂનકેસમાં હોસ્પિટલમાંથી ભાગી જવા માટે દોષિત જાહેર કરીને દોઢ વર્ષની કેદની સજા ફટકારી છે તેમજ દંડ પણ કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ કોગેસના પૂર્વ MLA મણિલાલ વાઘેલા 24 એપ્રિલે વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. અગાઉ મણિલાલ વાઘેલા PM મોદી સાથે મુલાકાત કરી ચૂક્યા છે. PM સાથેની મુલાકાત બાદ અટકળો વહેતી થઇ હતી. વડગામ ખાતે શક્તિપ્રદર્શન સાથે ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાવા અંગે મણિલાલ વાઘેલાએ તૈયારીઓ આરંભી દીધી છે. રેલીમાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર રહી શકે છે.

