પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતા મહાનગરમાં ઘણા પરિવારો ઈ વ્હીકલ્સ તરફ વળ્યા છે. જેના કારણે પ્રદુષણનું સ્તર પણ નીચું લાવી શકાય છે. સરકાર પણ પ્રદુષણ ઘટાડવા માટે ઈ વ્હીકલ્સને પ્રોત્સાહન આપી રહી છે. પણ અમદાવાદ કોર્પોરેશનને નવા પ્રોજેક્ટના નામે માત્ર ટેન્ડરમાં જ રસ હોય એવું ચિત્ર સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે કાંકરિયા વિસ્તારમાં ચાર મોટા ઈ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાયા છે. પણ છેલ્લા એક વર્ષથી આ મશીન ધૂળ ખાઈ રહ્યા છે.
એટલું જ નહીં એની નોઝલ પણ તૂટી ગઈ છે. જો કોઈ ઈ બાઈક ચલાવનાર વ્યક્તિ અહીં ચાર્જિંગ થશે એવું વિચારીને આવે તો એને અવશ્ય ધક્કો ખાવો પડે. કારણ કે એક પણ મશીન ચાલું નથી. એક વર્ષ થયું હોવા છતાં આમાંથી એક પણ મશીન ચાલું નથી. પાઈપ તૂટી ગયા છે. એકબાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રદુષણ ઘટાડવા અંગે મસમોટી વાતો કરે છે, ઈ વ્હીકલ્સમાં સબસીડી આપે છે. પણ એના મુખ્ય સ્ત્રોત કે એનું આંતરમાળખું તૈયાર થાય એમાં સરકાર કે તંત્રને કોઈ રસ નથી. જ્યારે કોઈ પણ પ્રોજેક્ટનું એલાન થાય છે ત્યારે શહેરમાં યુદ્ધના ધોરણે એને લાગુ કરવા માટે પગલાં ભરવામાં આવે છે. પછી દૂધના ઊભરા જેવી સ્થિતિ થાય છે.

સમયની થપાટે ભલભલા પ્રોજેક્ટના કપાટ બંધ થઈ જાય છે. જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પણ એનું મેન્ટેનન્સ કરવામાં તંત્રની ઢીલી નીતિ સ્પષ્ટ થાયછે. આ વિષય પર વિપક્ષ નેતા શહેજાદ ખાને કહ્યું કે, કોર્પોરેશનના આ વર્ષના બજેટનો એજન્ડા હતો કે, આ વર્ષે અમદાવાદને પ્રદુષણ મુક્ત સિટી કરી દેવાશે. ઈ વ્હીકલ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. પણ કોર્પોરેશને આ માત્ર જાહેરાત જ કરી છે. કોઈ યોજાના લાગુ થતી નથી. થાય તો સમયાંતરે એનું મુલ્યાંકન થતું નથી.
અમદાવાદ શહેરમાંથી પણ ઘણા પરિવારો ઈ વ્હીકલ્સને હવે પહેલી પસંદગી માની રહ્યા છે. ઈ વ્હીકલ્સની ખરીદી અમદાવાદમાંથી પણ વધી ગઈ છે. પણ ઈમરજન્સી વખતે ચાર્જિંગ સ્ટેશને જઈએ તો ધક્કા થાય એવી હાલત છે. પ્રજાના પૈસાથી યોજનાઓ તો તૈયાર થઈ જાય છે પણ ખરા અર્થમાં જે લાભ મળવા જોઈએ એ મળતા નથી. અમલીકરણ અંગે અમદાવાદ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. રાજ્ય સરકારની પોલીસીને પણ કોર્પોરેશન ગાંઠતું નથી. જ્યાં ચાર્જિગ સ્ટેશનની આવી હાલત છે તો તંત્ર પ્રજાને ઈ વ્હીકલ્સ માટે કેવી રીતે પ્રોત્સાહન આપી શકે. કેન્દ્ર અને રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ પૈકી આ પ્રોજેક્ટ છે. પણ ચાર્જિંગના કોઈ ઠેકાણા નથી. તપાસ એની પણ થવી જોઈએ કે,કઈ એજન્સી પાસે આનો કોન્ટ્રાક્ટ હતો? હવે એન સામે કોઈ પગલાં લેવાશે કે ઘીના ઠામમાં ઘી પડી જશે.

