રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ વધી રહ્યો છે. જૂનાગઢમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા અને રાજકોટના કાલાવડ રોડ ઉપર રહેતા બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસથી ફીનાઈલ પી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. કોરોનાકાળમાં આર્થિક વ્યવહાર અટકી જતા બિલ્ડર વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયો હતો. તેમજ ત્યારબાદ તે પરિવાર સાથે હિજરત કરીને રાજકોટ રહેવા આવી ગયો હતો.

પોલીસ સમક્ષ બિલ્ડર અમિત મારડિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં શ્રીજી કન્સ્ટ્રક્શન નામે બાંધકામનો વ્યવસાય કરતો હતો. બાંધકામની અનેક સાઇટ ચાલતી હતી. કોરોનાકાળમાં લોકડાઉન આવતા તૈયાર બાંધકામનું વેચાણ અટકી ગયું હતું અને સાતેક લોકો પાસેથી નાણા વ્યાજે લઇ આર્થિક રોલિંગ ચલાવ્યું હતું. વ્યાજખોરો પાસેથી રૂપિયા 25 લાખ વ્યાજે લીધા હતા તેની સામે લાખો રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ વધુ નાણાની માગ કરી પઠાણી ઉઘરાણી શરૂ કરતાં અમિત તેની માતાને લઇને જૂનાગઢથી નીકળીને રાજકોટ રહેવા આવી ગયો હતો.

રાજકોટ આવી ગયા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ અટક્યો નહી. નાણાની માગ ચાલુ રહી હતી. હવે વ્યાજખોરોએ અમિતની મિલકત પર કબજો જમાવવાનું શરૂ કરતાં કંટાળેલા યુવકે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અમિત મારડિયાનું નિવેદન નોંધી વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.

