સૌરાષ્ટ્ર કોંગ્રેસના કદાવર નેતા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, રાજકોટ કોર્પોરેશનના પૂર્વ નેતા વશરામ સાગઠિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. થોડા સમય પહેલા જ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તથા વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે એવી વાત રાજકીય લોબીમાં વહેતી થઈ હતી.કોંગ્રેસે બંને નેતાઓનો સંપર્ક કરીને સમજાવટ કરી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ગુરૂવારે દિલ્હી ગયા હતા.

એ પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે એક મહત્ત્વની બેઠક કરી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું કે, આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. આ વાત દિલ્હી તથા પંજાબમાં જીત મેળવીને પુરવાર કર્યું છે. પંજાબમાં સત્તા પર આવ્યા બાદના ગણતરીના દિવસોમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો અમને એક મેસેજ કરો એવું એક અભિયાન શરૂ કરીને નંબર જાહેર કર્યા હતા. આવું ગુજરાતમાં ક્યાંય દેખાતું નથી. હું એવું માનું છું કે, અરવિંદ કેજરીવાલ કોઈ પક્ષ માટે નહીં પણ સામાન્ય માણસ માટે લડે છે. હું આમ આદમી પક્ષ અને સરકાર બંનેથી પ્રભાવિત થયો છું. હંમેશા લોકો માટે મારૂ જાહેર જીવન રહ્યું હતું. હું કોંગ્રેસમાં હતો. ભાજપ સત્તા પર હતો. લોકોને મુર્ખ બનાવાથી એક પક્ષ બની રહે એ મારી દ્રષ્ટિએ લાંછન છે. હું હંમેશા લોકો માટે મારો સમય આપતો હતો. હજુ પણ સમય આપવો છે. પહેલા લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતા કોંગ્રેસ પક્ષ સારો લાગતો આજે આમ આદમી પાર્ટી લાગે છે. હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. આવનારા દિવસો આમ આદમી પાર્ટીના છે. ખાનગી હોસ્પિટલને તબીબો મળે તો સરકારી હોસ્પિટલને કેમ ન મળે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, આ આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર છે.

અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી પ્રભાવિત થઈને કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઈન્દ્રનીલભાઈ, વશરામભાઈ અને કોમલબેન આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેને કામ કરવું હોય લોકોની સેવા કરવી હોય એના માટે આ વિકલ્પ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે બોલાવીને પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ ખૂબ સમજાવ્યા હતા.અઠવાડિયા પહેલા કાર્યાલયમાં સૌરાષ્ટ્રના બે જુથ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તથા પ્રફુલ ગઢવી તથા અન્ય નેતાઓ વચ્ચે બેઠકમાં બબાલ થઈ હતી. આ બેઠક બાદ સીધા એવા વાવડ આવ્યા છે કે, ઈન્દ્રનીલ અને વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

AICCના સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી રામ કિશન ઓઝાએ રાજકોટમાં ધામા નાંખ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હાઇકમાન્ડનો આદેશ આવે એ આમ તો જે હોય તે સ્વીકારી લેવાનો હોય. હવે ઇન્દ્રનીલભાઈને શું હજુ નારાજગી હોય. એ કામથી બહાર હશે એટલે હાજર નહીં રહ્યા હોય. કોંગ્રેસ જેવી તાકાતવર પાર્ટી હોય એમાં મતભેદ હોવાના એને જૂથવાદ ન કહેવાય. એમના વિચાર જુદા હોઈ શકે કોંગ્રેસ તો મજબુત છે આવું તો ચાલવાનું.

