રાજકોટ શહેરમાં બેફામ દોડતી સીટીબસોની અનેક ફરિયાદો ઉઠી છે. બેફામ દોડી રહેલી સીટીબસે અનેક અકસ્માતો સર્જયા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ગોંડલ ચોકડી પાસે આવેલી સોસાયટીના નાલા પાસે બેફામ દોડતી સીટી બસના ચાલકે ચાલીને જઈ રહેલા શ્રમીકને હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને સીટી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર ડ્રાઈવરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

રાજકોટ શહેરના ગોંડલ રોડ ચોકડી પાસે રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં રહેતા અને અટીકા વિસ્તારમાં કારખાનામાં મજુરી કામ કરતા મોહનભાઇ જાદવભાઇ કણજારીયા (ઉ.45) અટીકાથી નીકળી ચાલીને ઘરે જતા હતા. ત્યારે ઘર નજીક આવેલા નાલા પાસે પુરપાટ વેગે ઘસી આવેલી બેલગામ સિટી બસનાચાલકે યુવકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બસનું ટાયર મોહનભાઈ કણજારીયા પ2 ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જાગૃત નાગરિકે 108માં જાણ કરતા ટીમ તાકીદે સ્થળ પર પહોંચી તપાસ કરતા મોહનભાઇનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના એ.જે.પરમાર તથા રાઇટર મહેન્દ્રભાઇએ તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ બસચાલક બસ રેઢી મુકી ભાગી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

