સાવરકુંડલા તાલુકામાં સિંહોના આંટાફેરા વધ્યાં છે. કૃષ્ણગઢ ગામે ત્રણ સિંહોએ છ જેટલા પશુઓને શિકાર બનાવતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. સિંહોના શિકારનો વીડિયો અને ફોટાઓ સોશયલ મીડિયામાં વાયરલ થયા છે.

કૃષ્ણગઢ ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ગામમાં ગતરાત્રિએ ત્રણ સિંહો આવ્યા અને છ જેટલા પશુઓને શિકાર કર્યાનું રેકોર્ડ થયું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. તેમાં એક પશુ ત્રણ સિંહનો સામનો કરતું નજરે પડી રહ્યું છે. જો કે, પશુએ સિંહથી દૂર ભાગવાનો પ્રયાસ કરતા જ સિંહે એક તરાપ મારી પશુનો શિકાર કર્યો હતો.

અમરેલી જિલ્લામાં ગીર વિસ્તારને અડીને આવેલા ગામડાઓમાં સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે. ખોરાક અને પાણીની શોધમાં સિંહ ગામડાઓમાં આવી પહોંચે છે. ત્યારે ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગ ગામડાઓ સુધી આવી પહોંચતા સિંહને દૂર રાખે તેવી ગામલોકો માગ કરી રહ્યા છે.

