મહાનગર વડોદરામાંથી બેદરકારીને કારણો મોત થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવાનને કૂતરૂ કરડતા તેમે ઈન્જેક્શનના ડરથી રસી મૂકાવી ન હતી. પછી યુવાનને હડકવા ઉપડતા ત્રણ મહિના બાદ એનું નિધન થયું છે. વડોદરા પાસે આવેલા વડદલા ગામના આશાસ્પદ યુવાનને પોતાની જ બેદરકારીને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.18 વર્ષીય યુવકને 3 માસ પહેલાં કૂતરૂ કરડ્યું હતું. એ પછી દાખવેલી બેદરકારીથી મોતનું થયું હોવાનું કારણ મળ્યું છે.
વડોદરાના તરસાલી નજીક આવેલા હરિનગર વડદલા ગામમાં કૃણાલ વિજયભાઈ જાદવ (ઉં.વ.18)ને ત્રણ મહિલા પહેલા કૂતરાએ બચકા ભર્યા હતા. જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો. રસ્તે રખડતા કૂતરાએ પગમાં બચકું ભર્યું હતું. આ ઘટનાને પગલે કૃણાલે એન્ટીરેબિસ્ટનાં ઈન્જેક્શનો લેવાના ડરે માત્ર પ્રાથમિક સારવાર કરાવીને સંતોષ માની લીધો. પણ એને ક્યાં ખ્યાલ હતો કે, આ બેદરકારી મોત નોતરશે. કૃણાલ છોટાઉદેપુર ખાતે આવેલી કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો. પરિવારે જ્યારે એને ઈજા અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે, પતરૂ વાગ્યું છે. ઈન્જેક્શનના ડરથી કોઈ હકીકત કહી નહીં. પરિણામ એ આવ્યુ્ં કે, એના શરીરમાં હડકવાની અસર થવા લાગી હતી.

ત્રણ મહિના બાદ એને પેટમાં અસહ્ય દુખાવો થયો. પેશાબ બંધ થઈ ગયો. અન્ન નળી સંકોચાઈ જેવા લક્ષ્ણ જોવા મળ્યા. જેની સારવાર હેતું એને હોસ્પિટલ લઈ જવાયો. હોસ્પિટલમાં તેણે છેલ્લા શ્વાસ લીધા. કૃણાલે સારવાર કરાવવા માટે દાખવેલી નિષ્ક્રિયતા જીવલેણ સાબિત થઈ છે. બેદરકારીને કારણે બે બહેનોએ એક ભાઈ અને પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે. પુત્રનું મોત થવાને કારણે પરિવારમાં માતમનો માહોલ છે. માત્ર પરિવારમાં જ નહીં પણ વડદલા ગામ સહિત આસપાસનાં ગામોમાં સન્નાટો છવાઈ ગયો છે.
આ વિશે ડૉક્ટર્સનું કહેવું છે કે કોઈપણ જીવજંતુ અને પ્રાણીના કરડવાને સામાન્ય ઈજા તરીકે લેવું ન જોઈએ.ગંભીરતાથી લેવું જરૂરી છે. એમાં પણ કૂતરાના કરડ્યા બાદ તાત્કાલિક સારવાર લેવામાં ન આવે તો 20 વર્ષ પછી પણ એ હડકવાની અસર થઈ શકે છે. તેથી લોકોએ કૂતરૂ કરડે એટલે ખાસ સાવધાની રાખવી જોઈએ. સરકાર તરફથી પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. જ્યારે પણ કોઈ પ્રાણી કરડે ત્યારે ઈન્જેક્શનના ડરથી બેસી રહેવું જોઈએ નહીં. યુદ્ધના ધોરણે તબીબો પાસે સારવાર લઈને રસી મૂકાવી જોઈએ.

