મોરબી પાલિકાની તમામ 52 સીટ મેળવી ફરી શહેરને સૌરાષ્ટ્રનું પેરીષ બનાવવના સ્વપ્ન દેખાડનાર ભાજપના સત્તાધીશો માર્ચ મહિનો પૂર્ણ થવાને આરે આવ્યો હોવા છતાં મોરબી પાલિકાનું બજેટ જાહેર ન કરી શકતા જાણે સુસુપ્ત અવસ્થામાં જતા રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે નવું નાણાકીય વર્ષ 2022-23 શરુ થવાના માત્ર 3 દિવસ પહેલા મોરબી પાલિકાના ટાઉનહોલ ખાતે પાલિકા પ્રમુખ કે કે પરમારની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી.ચીફ ઓફિસર દ્વારા વર્ષ 2022-23ના વર્ષનું કુલ રૂ 357કરોડ 35 લાખનું 5.70 લાખની પુરાંત સાથેનું જંગી બજેટ રજુ કર્યું છે.

જેમાં જૂની જાહેરાત સાથે સાથે નવા કામને પણ શરુ કરવાના સ્વપ્ન દેખાડવામાં આવી રહ્યા છે જેમાં મોરબી શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ મોરબીના રવાપર ચોકડી,ઉમિયા ચોકડી વીસી ફાટક એમ કુલ 4 સ્થળે ટ્રાફિક સિગ્નલ મુકવાની જાહેરાત કરવામાં રૂ.2 કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો છે આ સિવાય સરદારબાગનું રીનોવેશન અને આધુનીકીકરણ કરી ઓક્સીજન પાર્ક બનાવવા સામાકાઠે આવેલે કેસર બાગનું પણ રીનોવેશન કરી પીપીપી ધોરણે સંચાલન આપવા પણ જનરલ બોર્ડમાં ઠરાવ મુકવામાં આવ્યો હતો નેહરુગેટ ચોકથી દરબારગઢ સુધીના હેરીટેજ સ્થળને જરૂરી લાઈટીંગ ફીટ કરી ઓળખ આપવા સામાકાઠા વિસ્તારમાં ઓડીટોરીયમ હોલ બનાવવા નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં સેડ બનાવવા પાણીની વ્યવસ્થા કરવા તેમજ અમૃત યોજના અંતર્ગત સોલાર પંપ મુકવા 16 સીટી બસ ખરીદી કરવા સહિતની અનેક સપનાઓ પાલિકા દ્વારા શહેરીજનોને આજે રજુ થયેલા બજેટમાં દેખાડવામાં આવ્યા છે.

વોર્ડ 2 ના વિસ્તારમાં કામગીરી ન થતી હોવાનો કાઉન્સીલરનો આક્ષેપ
મોરબી પાલિકા વિસ્તારમાં હાલ ભાજપનું શાસન હોવા છતાં વોર્ડ 2ના કાઉન્સિલર જયંતીભાઈ તેમના વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભની કામગીરી ન થતી હોવાના આક્ષેપ કર્યા હતા તેઓએ પાલિકાના હોદેદારો પર તેમના વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનું જણાવી તેમના વિસ્તારમાં વહેલી તકે કામગીરી કરવા આક્ષેપ કર્યા હતા.

