ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુની તબિયત ફરી લથડી છે. હાલ તેમની સારવાર ગોંડલ રામજી મંદિરમાં ચાલી રહી છે. જ્યાં તબિબોની ટીમ ખડેપગે સારવાર કરી રહી છે. બાપુની તબિયત ફરી લથડતા ભાવિકોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે. તેમના સ્વાસ્થ્યના સુધારા માટે રામજી મંદિરમાં રામધૂન બોલાવીને પ્રાર્થના કરાઈ રહી છે.

રઘુવંશી સમાજમાં રણછોડદાસ બાપુ બાદ હરિચરણદાસ બાપુનુ મહત્વ ખૂબ જ વધુ છે, ફેબ્રુઆરી 2020માં અયોધ્યામાં હરિચરણદાસ બાપુનો પગ લપસી જતાં તેમને થાપાના ભાગમાં ઇજા પહોંચી હતી. ત્યારે વધુ સારવાર અર્થે તેમને રાજકોટ ચાર્ટડ પ્લેન મારફતે ખસેડવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા કેવડિયા પાસે ગોરા આશ્રમમાં પણ બાપુની તબિયત લથડી ત્યારે ગોંડલથી ડોક્ટરની ટીમ દોડી ગઇ હતી. બાદમાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યા બાદ તેઓ ગોંડલ રામજી મંદિર આવતા રહ્યા છે.

ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગોંડલ રામજી મંદિરના મહંત એવા હરિચરણદાસ બાપુમાં કેટલી શ્રદ્ધા ધરાવે છે. ચેતેશ્વર જ્યારે પણ ટીમ ઇન્ડિયા માટે રમવા જાય છે. ત્યારે તે સૌપ્રથમ સિરીઝની શરૂઆત થતા પહેલા પરિવાર સાથે જઈ હરિચરણદાસ બાપુના આશીર્વાદ જરૂર લે છે. પોતાનો જન્મદિવસ હોય કે પોતાની પત્નીનો જન્મદિવસ હોય કે પછી પોતાની લગ્નની વર્ષગાંઠ હોય કે પછી ગુરુ પૂર્ણિમા. ચેતેશ્વર પૂજારા હરિચરણદાસ બાપુના આશીર્વાદ ચોક્કસ લે છે તો સાથે જ તેમનું પૂજન-અર્ચન કરી તેમની આરતી પણ ઉતારે છે.

