ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરરાજી સમયે ભાવમાં એકાએક ઘટાડો નોંધાયો હતો. ભાવ ઘટતા ત્યાં હાજર રહેતા ખેડૂતોએ હરરાજી અટકાવી દીધી હતી. તેમજ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ હરરાજી રોકાવી દીધી હોવાની યાર્ડના સત્તાધિશોએ ખેડૂતો અને વેપારી સાથે બેઠકો શરૂ કરીને હરરાજી ફરીથી શરૂ કરવા માટે પ્રયાસો હાથ ધર્યાં હતાં.

કોડીનાર શહેરમાં સુગર મીલના ગ્રાઉન્ડમાં ચાલતી ઘઉંની હરરાજી સમયે ભાવમાં થયેલા ઘટાડાના કારણે 300 જેટલા ખેડૂતોએ હોબાળો મચાવી હરાજીની કામગીરી બંધ કરાવી દીધી હતી. જે અંગે ખેડુતે જણાવ્યું હતુ કે, આજે સવારે ઘઉંની હરરાજીમાં અચાનક એકાએક ઘઉંના ભાવમાં રૂ.100 થી વધુનો ઘટાડો થતા મોટી સંખ્યામાં ખેડૂતોએ હોબાળો મચાવી હરરાજીની પ્રક્રીયા બંધ કરાવી હતી. કારણ કે, હરરાજીમાં અત્યાર સુધી 20 કિલો ઘઉંના ખેડુતોને રૂ.450 થી લઈ 500 થી વધુની બોલી લાગતી હતી. પરતું આજે તેમાં એકાએક રૂ.100 નો ઘટાડો થતા ખેડુતો મુંઝાયા હતા. હોળીના તહેવારના કારણે ખેડૂતોની મજબુરીની તકનો લાભ ઉઠાવાય રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

હરરાજી અટકી હોવાની જાણ થતા યાર્ડના સેક્રેટરી સહિતના જવાબદારો સ્થળ પર દોડી આવી ખેડૂતો અને વેપારીઓ સાથે બેઠકો શરૂ કરી પરિસ્થિતિ થાળે પાડી હરરાજી શરૂ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ અંગે યાર્ડના ચેરમેન સુભાષ ડોડીયાએ જણાવેલ કે, અત્યાર સુધી ઘઉંના ભાવ 450 થી 500 ઉપર હતા. પરંતુ હવે ગુજરાતના પાડોશી મહારાષ્ટ્ર, એમપી સહિતના રાજ્યોમાંથી ઘઉંની આવકો શરૂ થઈ હોવાથી આજે ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે. તો આ મામલે સૌરાષ્ટ્રના અન્ય મુખ્ય માર્કેટીંગ યાર્ડમાં ચાલતા ઘઉંના ભાવોની માહિતી મેળવી ખેડુતો અને વેપારીઓને મળીઆ પ્રશ્ન હલ કરવા પ્રયાસ કરી રહ્યા છે.

