પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ધોબી પછડાટ લાગ્યા બાદ કોંગ્રેસમાં સ્મશાનમાં શાંતિ હોય એવો માહોલ જોવા મળ્યો છે. યુદ્ધના ધોરણે બેઠકનો ધમધમાટ ચાલું થયો છે. આ ચૂંટણીના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. કોંગ્રેસે સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે કે, ગાંધી પરિવારના-સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા CWCની બેઠકમાં રાજીનામું નહીં આપે. રવિવારે તેની ટોચની નિર્ણય લેતી સંસ્થા કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ હતી. શનિવારે સાંજે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, “કથિત રાજીનામાના સમાચાર અજાણ્યા સ્ત્રોતો પર આધારિત છે. તે સંપૂર્ણપણે ગેરવાજબી અને ખોટા છે.”
હકીકતમાં, તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા પછી, હારના કારણોની સમીક્ષા કરવા અને આગળના માર્ગ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ કાર્યકારી સમિતિ CWCની બેઠક યોજાશે. રાજકીય સુત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે સાંજે 4 વાગ્યે આ CWCની બેઠક બોલાવી છે. કોંગ્રેસની ટોચની પોલીસી નિર્માતા સંસ્થાની બેઠક એવા સમયે થવા જઈ રહી છે જ્યારે કોંગ્રેસને પંજાબમાંથી કારમી હાર સહન કરવાનો વારો આવ્યો છે. પ્રજાએ આત્મચિંતન તરફનો રસ્તો દેખાડ્યો છે. સત્તા ગુમાવી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર આ કોઈ રાજ્યમાં કોંગ્રેસનો ડંકો વાગ્યો નથી. આટલા ભયાનક ધોવાણ બાદ બેઠકમાં લેવાતા નિર્ણય પર સૌની નજર રહેશે. વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર બાદ, શુક્રવારે પાર્ટીના ‘G23’ જૂથના ઘણા નેતાઓએ પણ એક બેઠક યોજી હતી જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારીએ રાજ્યસભાના ભૂતપૂર્વ નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં હાજરી આપી હતી.

‘G23’ નેતાઓ, જેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટિના સભ્યો છે. તેઓ આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીમાં હારનો મુદ્દો ઉઠાવી શકે છે. પાર્ટી સંગઠનમાં જરૂરી ફેરફારો અને જવાબદારી સુનિશ્ચિત કરવાની એમની જૂની માંગણી કરી શકે છે. G23 જૂથના મુખ્ય સભ્યો ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો છે. આ સભ્ય નેતાઓએ ઓગસ્ટ, 2020માં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં સક્રિય પ્રમુખ અને સંગઠનમાં જળમૂળથી પરિવર્તનની માંગણી કરી હતી. આ જૂથના બે નેતાઓ જિતિન પ્રસાદ અને યોગાનંદ શાસ્ત્રીએ હવે કોંગ્રેસ છોડી દીધી છે.

