સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ રાજ્ય સરકારને માસ્ક મરજિયાત કરવા, હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસ અંગે ડ્રાઈવ રદ્દ કરવા માટે મોટી માંગ કરી છે. આ મામલે તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર પણ લખ્યો છે. એમનું કહેવું છે કે પોલીસ આ મામલે બેફામ ઉધરાણી લોકો પાસેથી કરે છે. લોકોની હેરાનગતિ વધી રહી છે. એવો ઉલ્લેખ એમના આ પત્રમાં છે. જોકે, રાજકીય ગરમાવો એ મુદ્દે આવ્યો છે કે, ભાજપની સરકાર હોવા છતાં ભાજપના જ ધારાસભ્ય તરફી ફરી એક લેટર લખાયો છે.
સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી તરફથી રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં દરેક મામલે મોટી ચર્ચામાં કરવામાં આવતી હતી. આ ઉપરાંત રોડ સેફ્ટિને લઈને લેવાતા પગલાંઓની પણ સમિક્ષા કરવામાં આવી છે. બેઠકમાં ચર્ચા થઈ હતી કે, રાજ્યમાં થતા રોડ અકસ્માતની ઘટનામાં હેલ્મેટ નહીં પહેરવા તથા સીટ બેલ્ટ નહી બાંધવાના કારણે ઘણી વખત લોકોએ જીવ ગુમાવ્યા છે. તો ક્યારેક ગંભીર ઈજાઓ પણ થઈ છે. આ કારણે મૃત્યુદર તેમજ ગંભીર ઇજાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. આ રોડ અકસ્માતની સંખ્યામાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિકના નિયમોની નિયમિત અમલવારી માટે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની આખી પ્રક્રિયામાં હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ ભંગના કેસ વધુમાં વધુ કરવા સ્પષ્ટ સૂચના છે. જેની સામે પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ લેખિતમાં સરકારને રજૂઆત કરી છે. તા 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ પકડવાના ટાર્ગેટ અપાયા છે. કુમાર કાનાણીએ રાજ્યનાા ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં ઉલ્લે કર્યો છે કે,તા.6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટની ઝુંબેશ ચલાવવાનો પરિપત્ર ગૃહ વિભાગે જાહેર કર્યો છે.

હાલમાં કોરોના વાયરસના કેસ પણ એકાએક ઘટી ગયા છે. કોરોનાને લઈને સ્થિતિ હાલમાં કાબુમાં છે. સામાન્ય પ્રજાને પણ રાહત અપાઈ છે. તબક્કાવાર અનલોકથી મોટી રાહત લોકોને થઈ છે. તેથી હવે હેલ્મેટ અને સીટબેલ્ટના કેસ મામલે ડ્રાઈવ કરીએ તો સામાન્ય પ્રજાને મોટો દંડ ભરવો પડે એમ છે. શહેરી વિસ્તારોમાં પણ પોલીસના ટોળા ઉભા રહીને વાહન ચાલકો પાસેથી બેફામ પૈસાની ઉઘરાણી કરે છે. જેના કારણે વાહનચાલકોની હેરાનગતિ વધી ગઈ છે. આથી પ્રજાના સહયોગ માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માટે મારી ભલામણ છે. જોકે, આ પહેલા તેમણે રાજ્યમાં માસ્કને મરજિયાત કરવા અંગે પણ વાત કહી હતી. જોકે, હકિકત એવી પણ છે કે, રાજ્યના પોલીસ ઉચ્ચ અધિકારી આશિષ ભાટીયાએ ચોખવટ કરી છે કે, ડ્રાઈવ સિટી વિસ્તારમાં નથી. જ્યાં હાઈવે ક્નેક્ટ થાય છે અને જ્યાંથી હાઈવે જે તે શહેરને જોડે છે ત્યાં આ પ્રકારની ડ્રાઈવ ચાલું છે.
ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા પોતાની વાત પોતાના જ પક્ષમાં મજબૂતાઈથી મુકવા માટે જાણીતા છે. વરાછા વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ અવારનવાર મ્યુનિસિપલ કમિશનર કે રાજ્ય સરકારને પત્ર લખતા રહેતા હોય છે. પ્રજાને પડતી અગવડને લઈને તેઓ પરોક્ષ રીતે સરકારના જ નિયમો અને કામગીરી ઉપર પ્રશ્નો ઉભો કરી દેતા હોય છે. ટ્રાફિક પોલીસ હંમેશા કુમાર કાનાણીના નિશાના પર રહેતી હોય છે. વરાછા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાને બદલે વાહનચાલકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા હોવાની પણ ખૂબ ફરિયાદ સામે આવી રહી છે. કુમાર કાનાણીને લખેલા પત્ર બાદ હવે ગૃહ પ્રધાન અને તેમના જ સાથી ધારાસભ્ય હર્ષ સંઘવી ષું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

