વિધાનસભાની ચૂંટણી પહેલા જ સુસુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. દ્વારકામાં આજથી કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરી, પૂજા અર્ચના કરીને ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો હતો.

આ અંગે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશના શરણમાં રહીને સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને ગુજરાતીઓ આનંદ અનુભવે તે માટે ગુજરાત પ્રદેશ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરોએ દ્વારકાધીશને પ્રાર્થના કરી છે. તમામ ગુજરાતીઓ કોંગ્રેસના શાસન માટે ગર્વથી કહે આ અમારું ગુજરાતનું શાસન છે. જેમાં ખેડૂતોને ન્યાય મતો હોય, વિદ્યાર્થીઓને રોજગારી મળતી હોય, મહિલાઓને સુરક્ષા મળે તે માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વિનંતી અને પ્રાર્થના કરાઈ છે. તેમજ ત્રિદિવસીય શિબિરનો શુભારંભ કરાયો છે.

આ ચિંતન શિબિરમાં રાજ્યના જુદા જુદા 18 વિષયો ઉપર રાજ્યની વર્તમાન પરિસ્થિતિ સમસ્યાઓ અને રોજગાર, મહિલા સુરક્ષા પર ચિંતન કરાશે. તેમજ સંગઠનની બાબતો ઉપર ચર્ચા કરાશે. તમામ મુદ્દા ઉપર કોંગ્રેસ શું કરશે તેના ઉપર ચિંતન શિબિરમાં ચર્ચા થશે. આ ચિંતન શિબિરમાં શનિવારે કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવશે. તેમજ પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ સાથે મુલાકાત કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે રણનીતિ ઘડાશે.

