સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં રાજ્યના મોટાભાગના લોકો આરોપીને કડક સજા થાય એની માંગ કરી રહ્યા છે. દરેક લોકોની આંખ આ ઘટનાથી ભીની થઈ ગઈ છે. દીકરીને ન્યાય અપાવવા નેતાઓથી લઈ કલાકાર સુધીની આખી લોબી મેદાને ઊતારી છે. તાજેતરમાં ઉદ્યોગપતિઓ તથા સમાજ સેવકોએ દીકરીને ન્યાય અપાવવા માટે અપીલ કરી છે. પાટીદારો સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ ગ્રીષ્મા વેકરિયાના પરિવારને સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા.
ગ્રીષ્માની જે રીતે હત્યા કરી દેવામાં આવી જેના કારણે આખા સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. ઉદ્યોગપતિએ કહ્યું કે, દીકરકી સાથે આવી ઘટના બની પણ અન્ય કોઈ દીકરી સાથે આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ સમાજમાં આવી ઘટના ન બને એ માટે આપણે સતર્કતા રાખવી અનિવાર્ય છે. સમાજને આ મામલે ગંભીરતા રાખવી જોઈએ. પાટીદાર સમાજ અગ્રણી તથા ઉદ્યોગપતિ લવજી બાદશાહ, લાલજી પટેલ, મથુર સવાણી, કાનજી ભાલાળા સહિતના અગ્રણીઓ એમના ઘરે પહોંચ્યા હતા. ઉદ્યોગપતિ લવજી બાદશાહે કહ્યું કે, ગ્રીષ્માની હત્યાના સીન જોઈને ભલભલા હચમચી જાય. એક યુવાનની આ પ્રકારની માનસિકતા સાથે કોઈ દીકરીના ઘરે પહોંચી ત્યાં જ એનું ગળુ કાપી હત્યા કરે એ કદી ચલાવી લેવાય એમ નથી. લાલબત્તી સમાન કિસ્સો છે આ સમાજ માટે. સમાજના અગ્રણી તરીકે અમે આ પ્રકારની માનસિકતા વાળા યુવાનોની જેમ બીજા યુવાન આ માર્ગે આગળ ન વધે એ માટે અમે વિચારી રહ્યા છીએ. આ માટે એક ખાસ પ્રકારના જાગૃતિના કાર્યક્રમ આપવાનું અમે વિચાર્યું છે.
જેથી કરીને આ પ્રકારની માનસિકતાથી આપણા યુવાનો દૂર રહે અને સમાજના અગ્રણી તરીકે અમે આ પ્રકારની માનસિકતા ધરાવતા યુવાનોથી અન્ય યુવાધન ન બગડે એ પ્રકારના પગલાં લઈશું. આ માટે કંઈક કરવાનું અમે વિચારી રહ્યા છીએ. આ માટે જનજાગૃતિના કાર્યક્રમ આપવાનું વિચાર્યું છે. જેથી અન્ય યુવાનો આવી માનસિકતાથી દૂર રહે. સમાજની દીકરીઓને પણ સુરક્ષા મળી રહે. દરેક દીકરીની સુરક્ષા કરવાની આપણી ફરજ છે. આ પ્રકારનો એક વિચાર વહેતો થાય એવો અમારો પ્રયાસ છે. તમામ ઉદ્યોગપતિઓએ આ કેસમાં ઝડપથી આરોપીને સજા મળે અને ન્યાય મળે એ માટે અપીલ પણ કરી છે.

