રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી શરૂ થયાં છે. દિન-પ્રતિદિન કેસોમમાં સતત ઘટાડો થવા લાગ્યો છે. તો બીજી તરફ 11 ફેબ્રુઆરીના રોજ કોરોના ગાઈડલાઈનની પણ મુદ્દત પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકાર કાલ સુધીમાં નવી ગાઈડલાઈન બહાર પાડી શકે છે. તેમજ કોરોના કેસોની સમિક્ષા કરીને રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો હળવા બનાવી શકે તેમ છે. જેમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 12થી સવારના 5 વાગ્યા સુધીનો તો કેટલાક શહેરોમાંથી રાત્રી કર્ફ્યુ હટાવાઈ શકે છે.

રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે અત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની અમલવારી ચાલુ છે. ત્યારે આ મહાનગરોમાં વર્તમાન કોરોના કેસોની સમીક્ષા કરીને આ મહાનગરોમાંથી રાત્રી કર્ફ્યુ ઉઠાવી લેવો કે કેમ તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હેરકટીંગ શોપ, સ્પા-સલૂન, બ્યુટીપાર્લરને ખુલ્લા રાખવાના સમયમાં પણ વધારો થઈ શકે છે.

તેમજ હોટલ રેસ્ટોરન્ટ્સો 100 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાય અને હોમ ડિલિવરીની સેવાઓ 24 કલાક સુધી ચાલુ રહી શકે છે. જ્યારે રાજકીય, શૈક્ષણિક, લગ્નપ્રસંગ જેવા કાર્યક્રમોમાં ખુલ્લામાં 300 તો બંધ જગ્યાએ 150 લોકોની જે મર્યાદા રાખવામાં આવી છે તેમાં પણ વધારો થઈ શકે છે. તો જિમ, સિનેમા, વોટરપાર્ક અને લાઈબ્રેરીના નિયંત્રણો પણ હળવા થઈ શકે તેમ સુત્રોએ જણાવ્યું છે.

